પૃષ્ઠ:Atmavruttanta.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૯૫
 

હતું, બાકી બાપદીકરાની નિંદાનો વિષય બીચારો સાંકળચંદ એકદમ તેમની ગુલામગીરીને લાયક ક્યાંથી થઈ જાય? નાનાસાહેબની સાથે પણ ચતુરભાઈને મૂલથી મારે લીધે સંબંધ હતો જ. તે પણ હાલમાં ઠીક કેળવવા માંડ્યો છે. કેમકે તેમાંથી છાપખાનાને માટે કામ મળે છે. ગામમાં આબરૂ મળે છે અને વખતે નોકરી-ચાકરીનો પ્રસંગ સંભવિત છે. તેમના પિતા આમાં પણ રાજી છે. અરે ઈશ્વર ! મારે ઘેર જ એવું દ્રવ્ય નથી આપ્યું કે બધા ચતુરભાઈ ભેગા થાય !! ભલે કદાપિ એવું દ્રવ્ય પણ ન આપીશ ને તેવા ચતુરભાઈ પણ ન આપીશ. મને છે તેથી જ સંતોષ છે. સાંકળચંદ શેઠ અલબત્ત સ્વભાવે વિલક્ષણ, તથા તેનો કલ્પિત સ્વાર્થ જે જુઠી મોહોટાઈને મેં બગાડવામાં કાંઈ મદદ કરી નહિ હોય તો તે સાધવામાં તો મદદ નથી જ કરી એમ માની મારા પર જરા ગુસ્સે હતો, તે તેમ જ ચાલતો, પણ તેનું હૃદય એકંદર સારૂં છે એમ જે મારો નિશ્ચય છે તે કાયમ છે. છોટુએ આ પ્રસંગમાં નાંદોદ તરફ નોકરી લઈ લીધી. ત્રીભુવનદાસ ગજ્જર જોડે ગરબડ થયાનું મેં કહેલું છે. તે મને મુંબઈમાં મળ્યો ને તેણે માફી માગી તથા બીજી રીતે વાતચીત કરી. એમ સમાધાન થયું, પણ મને તરત જ નડીયાદથી જણાયું કે એણે મારી પાછળ નીંદા કરવામાં ને તે જ્યાં ફાવે તે સ્થળે અને જુઠી બાકી મુકી નથી. આ ઉપરથી મેં તેને લખી વાળ્યું કે આવો ખરાબ રીતિનો સંબંધ આપણે ચાલશે નહિ. તે પરથી વળી તેણે સમાધાન કરવા તેના મિત્રને મોકલ્યો પણ તેને અમે કહ્યું કે એ માણસની નીચતા ઘણી છે તે તેણે બંધ પાડવી જોઈએ ને તેમ નહિ થાય ત્યાં સુધી અમારે ને તેને સંબંધ નહિ બને. રજા પુરી થઈ. એટલે તા. ૩જી જાનેવારી ૧૮૮૮ ને રોજ ભાવનગર આવી મેં મારા કામનો ચાર્જ લીધો. હાલ ત્યાં રહીને જ આ લખું છું.