તે ઉપરથી શિયાળ સંજીવકને પિંગલકની પાસે લઈ આવ્યો. પિંગલકને તેનો સ્વભાવ ઘણોજ ગમી ગયો, અને જોતજોતામાં તે એનો માનીતો મિત્ર થઇ પડ્યો. બન્ને જણા હળીમળીને સાથે રહેવા લાગ્યા.
શિયાળે સંજીવકનું મોત શી રીતે નીપજાવ્યું. તે વિષે:–શિયાળ હવે પિંગલકનો વિશ્વાસપાત્ર મિત્ર થઇ પડ્યો હતો. એથી તે મનમાં ને મનમાં મલકાતો અને હરખથી ફુલાઈ જતો. એક દિવસ તેણે પોતાના ભાઈને કહ્યું–“ભાઈ ! આ વનના રાજા પિંગલક સિહની સાથે મ્હારે દોસ્તી થઇ છે.”
“એ દોસ્તી વળી કેમ કરતાં થઈ ?” એના ભાઈએ પૂછ્યું.
શિયાળે જવાબ આપ્યો:–“હું પેલા નવા બળદ સંજીવક–ને એની પાસે લઈ ગયો હતો. એ બન્ને જણા જીવજાન દોસ્ત થયા છે; અને ત્યારથી પિંગલકના મ્હારા ઉપર ચારે હાથ છે.”
દિવસે દિવસે પિંગલક અને સંજીવકની મિત્રતા વધતી ગઈ. દિવસના સંજીવક બહાર જઈને મન માન્યું ઘાસ ચરતો. સાંજરે તે પાછો ઘેર આવતો, ત્યારે પિંગલક શિકાર કરવા જતો તેઓ સ્હવારે અને સાંજરે એક બીજાને મળતા અને મોજ કરતા.
એ બન્નેનું આવું સુખ શિયાળથી ખમાયું નહિ. એમનો નિર્દોષ આનંદ એની આંખ્યોમાં ખુંચવા લાગ્યો. તેથી એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું:–“પિંગલક અને સંજીવકના રંગમાં ભંગ પડાવવો જોઇએ. એના જેવો