લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લુચ્ચા શિયાળે ખુલાસો કર્યો:–“આપનો મિત્ર સંજીવક આપની પાસેથી રાજ્ય છીનવી લેવા માંગે છે. આપને કદાચ મ્હારી આ વાત ખરી નહિ લાગે, અને મને સજા પણ કરી બેસશો, એવો ડર રહે છે.”

પિંગલક કાંઇ પણ બોલ્યો નહિ. આ વાત સાંભળીને એને ઉંડા વિચારમાં પડી ગએલો જોઈને, શિયાળે ભાષણ ચલાવ્યું:–

“સંજીવકને આપે આપનો મુખ્ય મન્ત્રી બનાવ્યો છે. રાજાનો વિશ્વાસુ પ્રધાન બન્યા પછી, માણસ મદોન્મત્ત બની જાય છે. તેને એમ લાગે છે કે હું રાજાના જેવોજ અધિકાર ભોગવું. એમ કરતાં તેને રાજ્ય કરવાનું મન થાય છે. એ કારણથી તે રાજાનું ખૂન કરવા તૈયાર થાય છે. ખરેખર, આપ નામદારની ભારે ખરાબી થશે. માટે હજી પણ ચેતો. પૈસો દેખી મુનિવર ચળે છે. પૈસાના લોભથી પીગળે નહિ એવા મિત્ર મળી આવવા મુશ્કેલ છે, આપ બધું સમજો છો.” ખામોશ રાખીને પિંગલકે તેની બધી વાત સાંભળ્યા કીધી. ત્યારબાદ જરાક હસીને તે બોલી ઉઠ્યો:–સંજીવક ગમે તેવો પણ મ્હારો જીવજાન દોસ્ત છે. અમારી દોસ્તી કદી તૂટવાની નથી. મિત્રના હાથે કાંઇ ભૂલ થાય, તો તે આપણે દરગુજર કરવી જોઇએ.”

શિયાળ બોલ્યો:–“આપને માણસની પરીક્ષા નથી. તેથીજ આમ કહો છો.”

સિંહે જવાબ દીધો:–“પણ આ વાત મ્હને ખરી લાગતી નથી.”