શિયાળ બોલ્યો:–“અરે, જાઓ મ્હારા ભાઈ! આમ ધબાકાથી તે બ્હી જવાય ? સમજુ માણસ કદી એકલા અવાજથી ડરતો નથી. તમે નહિ આવો, તો હું તમને ઘાસ શી રીતે બતાવી શકીશ ?”
ગધેડાએ કહ્યું:–“ચાલો, આવું છું. મ્હને તે જગ્યા બતાવો.” એમ કહીને તે ફરી શિયાળની સાથે તેજ જગોએ ગયો. આ વખતે સિંહ એનો શિકાર કરવામાં ફાવ્યો. ગધેડાને જોતાંવારને તેણે જોરથી એને પોતાનો પંજો મારીને એના પ્રાણ લીધા. લુચ્ચા શિયાળની વાત લક્ષમાં લીધાથી ગધેડાએ જીવ ગુમાવ્યો, એણે વિચાર કરવાની તસ્દી લીધી નહિ. એજ એની મૂર્ખાઇ. પણ આટલેથીજ વાત પૂરી થતી નથી. શિયાળે પોતાના શેઠને પણ છેતર્યો હતો. સિંહને એણે આ પ્રમાણે છેતર્યો.
ગધેડાને મારીને સિંહ નદીએ નહાવા ગયો. તેના ગયા પછી શિયાળની ડાઢ સળકી આવી. મરેલા ગધેડાનું માંસ ખાવાને તે બહુ અધીરો થઇ ગયો તેથી એ ગધેડાના કાન અને કાળજાની ઉજાણી કરી ગયો. સિંહ જ્યારે પાછો આવ્યો, ત્યારે ત્હેણે પૂછ્યું:–
“આ ગધેડાનું કાળજું તથા કાન ક્યાં જતાં રહ્યાં ? કેમ જણાતાં નથી.”
શિયાળ બોલ્યો:–“હે રાજા ! એમ કેમ કહો છો. એને કાન અને કાળજું હતાંજ ક્યારે ? કાન કાળજાંવાળો ગધેડો હોય તે વળી બીજીવાર આવે ખરો? એ ગધેડો કાન કાળજા વિનાનો હતો; તેથીજ અહીં મરવાને આવ્યો.”