લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૦
બાલવિલાસ.

ઉપર દષ્ટિ ન કરતાં પારકાનામાં તેવા દોષ હોય તો તુરત નિંદવા માંડીએ છીએ એ કેવી મૂર્ખાઈ છે? તેમાં પણ માણસની કોઈ પણ ખામી કે તેનો કોઈ પણ દોષ જે પ્રસિદ્ધ કરવાથી કોઈને કશો લાભ નથી, તેને ચુંથીચુંથીને ચાવવામાં માત્ર તેમ કરનારની જ હલકાઇ પ્રસિદ્ધ થાય છે. દુનીયાંમાત્ર દોષવાળી છે એમ જાણી, સર્વત્ર દોષને બદલે ગુણનેજ જોવો, તેનેજ પકડવો, ને વખાણવો. કોઈ નઠારામાં નઠારી વસ્તુ પણ એવી નથી કે જેમાં કાંઈ ગુણ નહિ હોય, કોઈ સારામાં સારી વસ્તુ પણ એવી નથી કે જેમાં કાંઈ દોષ નહિ હોય, પણ ઉદાર માણસોએ સર્વત્ર ગુણનુંજ દર્શન કરવું: દોષ ઉપર દષ્ટિજ કરવી નહિ. સામાન્ય માણસો પરત્વે આમ વર્તવું એ જ્યારે ઉત્કૃષ્ટતાનું લક્ષણ છે, ત્યારે જેને માન યોગ્ય છે, જેને વખાણ ઘટે છે, તેને તે ન આપવા એ તો બહુજ હીણું ગણાય. બહુ સ્મરી રાખવું કે સામાને જે યોગ્ય હોય તે આપવામાં આપણે આપણી જાતને જ માન આપીએ છીએ, કેમકે તેનામાં જે ગુણ છે તેની પરીક્ષા કરવા જેટલો ગુણ આપણામાં પણ છે એમ સિદ્ધ કરી આપીએ છીએ, ને તેથી તે ગુણને લીધે આપણે પણ પ્રતિષ્ઠા પામીએ છીએ. આમ ઉદારબુદ્ધિથી વ્યવહારમાત્રને અવલોકતાં શીખવું, અને સંસારમાં જે નાના પ્રકારના ભેદ પડેલા છે તે ઉપર દૃષ્ટિ બાંધી મનનું સાંકડાપણું કદી પણ પ્રાપ્ત કરવું નહિ. જ્યારે આવી ઉદારતાથી આખા જગતનો વ્યવહાર ભળાય, ત્યારે મનમાં કોઈના ઉપર દ્વેષ પેદા થાય નહિ, ને તેથી સર્વને સહાય થવા રૂપી ઉદાર આચાર કરવાની પ્રેરણા સહજે સફલ થતી ચાલે.

ઉદારતા, સત્ય, સંપ, દયા, પ્રેમ, આદિ અનેક સદ્દવૃત્તિઓની અપેક્ષા છે એમ વારેવારે કહેવાય છે, તેમાં મુખ્ય વાત એટલીજ છે કે એ બધી વૃત્તિના પ્રભાવ વિના આ જગતનો વ્યવહાર ચાલે નહિ, દુનીયામાં માણસ રહી શકે નહિ, કદાપિ સુખી થઈ શકે નહિ. જેનાથી માણસ માણસનો સબંધ વધે, માણસ માણસને પ્રીતિની ગાંઠ બંધાય, ને તેમ થવાથી સર્વત્ર સુખ અને લાભ ફેલાય, એવી જે જે વૃત્તિઓ છે તે બધીને કેળવવી તથા તેથી ઉલટી વૃત્તિઓને જેમ દૂર કરાય તેમ કરવી. સર્વનો પ્રેમ સંપાદન કરવા માટે, સર્વના માનને પાત્ર થવા માટે, સર્વનો વિશ્વાસ સંપાદન કરવા માટે, ઉદારતા જેવો એક પણ ગુણ નથી ઉદારતામાંથી અનેક સારા ગુણ પેદા થાય છે, ને આખી સદ્દવૃત્તિ બાંધવાનું મુખ્ય ધોરણ ઉદારતારૂપી ગુણમાંથી સંભવે છે. પરસ્પરની વર્તણુકો, પોતાનાં ગુરૂજનના