પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
બાલવિલાસ.

ધર્મ-ભાગ-૨

કેટલાક પંડિતો કહે છે કે જીવ અને પુનર્જન્મ એ બે વાત ધાર્મિક માણસે માનવી જોઈએ. આ વાત એક રીતે ખરી છે, કેમકે વિચાર કરતાં એ વાત ખરી લાગે છે. એકલા જડથીજ આ વિશ્વનો ખુલાસો થઈ શકતો નથી. જુદા જુદા શોધથી એ પરિણામ નિશ્ચયપૂર્વક આવી ચૂકેલું છે કે જડમાત્રથીજ આપણે જે જે જોઈએ છીએ તે બની શકતું નથી; ને તેથી જડ તેવું બીજું ચેતન પણ હોવું જોઈએ. જડ એટલે જેમાં જ્ઞાનની શક્તિ નથી તે, ચેતન એટલે જે જ્ઞાનરૂપ છે તે. ત્યારે જડ અને ચેતનના મળવાથી આખું વિશ્વ બનેલું છે એમ જાણવું જડ દેખાય છે. ચેતન દેખાતું નથી, પણ અનુભવાય છે. પણ હજુ એક વધારે વાત લક્ષમાં રાખવાની છે, તે એ કે આટલુંજ જડ અને આટલુંજ ચેતન એમ સ્પષ્ટ વિભાગ કરવો અશકય જેવો છે. બીજી રીતે કહીએ તો જડનાં અને ચેતનનાં સ્વરૂપ કોઈ સમય કે કોઈ સ્થલમાં કેવલ નિરાળાં મળી શકતાં જ નથી. કે જ્યાંથી તેમનું બરાબર રૂપ સમજી શકાય. મેઘધનુષ્યના જુદા જુદા રંગની પેઠે એ બંને પરસ્પરમાં મળી જતાં દેખાય છે, પણ તે ઉપરથી એમ કહી શકાતું નથી કે જડમાંથી ચેતન કે ચેતનમાંથી જડ પેદા થાય છે. છતાં આટલું તો કહી શકાય કે જડ છે તે અનેક રૂપે ભાસે છે. ક્ષણ ક્ષણમાં તેના રૂપ રંગ બદલાય છે. જેટલી નામધારી વસ્તુ છે તે બધી એવી છે. પણ તેમાં વિકાર ન પામનાર અને એકજરૂપે સર્વદા રહેનાર તે, એ બધાને, જે પોતે ન દેખાતું છતાં જાણે છે તે છે. એ ચેતત. એ જે ને હોય તો કશાનું હોવાપણું, સમજાવાપણું, પ્રિય થવાપણું, સંભવે નહિં. નામ અને રૂપ તે બે વિકારી છે, હોવાપણું, સમજવાપણું, પ્રિય થવાપણું, અવિકારી છે. જડ છે તે શું છે, એ સમજાતું નથી, કેમકે તેનાં માત્ર નામ ને રૂ૫ આપણે જાણીએ છીએ. ચેતન છે તે તો સર્વદા સમજાય છે, કેમકે તે એક જ રૂપે, એટલે સર્વદા જ્ઞાન રૂપે રહે છે. આવો કાંઈક વિચાર કરતા સમજાય છે કે વસ્તુ માત્ર–પ્રાણી. વૃક્ષ, પાષણ, અંતરિક્ષ, સર્વ, જડ અને ચેતન બેનાં બનેલાં છે. ને તેમાં જે ચેતન છે તેજ નિત્ય રહે તેવું છે. ચેતન જેવા જેવા સંબંધમાં દર્શન દે છે, તેવાં તેવાં તેને નામ મળે છે, એ ચેતન જ્યારે અમુક પ્રકારે વર્તે છે, ને અમુક નામ રૂપમાં પડે છે, ત્યારે તે જીવ કહેવાય છે, વસ્તુ માત્રને જીવ છે–કીડી,