હૈયાનાં વહેણ વ્હેશે?
સ્નેહનાં નેણ જોશે;
ફૂલડાંમાં ભરશે અહો!
શોણિતના સંભાર
એ કટાર.
ન્હાનાલાલ
આપઘાત કર્યાથી જાણે પૂર્વ સંતોષ થયો હોય, મસ્તકના ચૂરેચૂરા થઈ જવાથી જાણે મગજનો સઘળો ભાર ઊતરી ગયો હોય, એમ નિર્વાણની શાંતિ મને પ્રાપ્ત થઈ. હું આ લોકમાં જાગ્યો કે પરલોકમાં તેની મને ખબર રહી નહિ. પરંતુ મારી ભાનમય સ્થિતિ કોઈ મૃદુસ્પર્શ સાથે શરૂ થતી હોય એમ મને લાગ્યું. આપઘાત કર્યા પછી ભાન શાનું ? અને હોય તો કોઈ સ્ત્રીના હસ્તસ્પર્શનું કેમ ? પરલોકમાં બંસરી આવીને મને જાગ્રત કરતી હતી કે શું ? મેં આંખ ઉઘાડી. ઝાંખા પ્રકાશમાં એક સ્ત્રી મારા ઓશીકા પાસે બેસી માથે ધીમે ધીમે હાથ ફેરવતી હતી.
મેં ધારીને જોયું તો તેનું મુખ મને દેખાયું નહિ. મુખ ફેરવીને એક બાજુ ઉપરનું વસ્ત્ર ખેંચી અડધા મુખને પણ ઢાંકીને તે બેઠી હતી. મેં આપઘાત કર્યો હતો. એ વાત નક્કી હતી, અને હું મૃત્યુ પછીના કોઈ સ્થળ સમયનો અનુભવ કરતો હતો, એમ મારી ખાતરી થઈ. મેં પૂછ્યું :
‘તમે કોણ છો ?’
આછા પ્રકાશ અને એકાંતમાં મને મારો અવાજ વિચિત્ર અને ન ઓળખાય એવો લાગ્યો. તેણે જવાબ આપવાને બદલે વસ્ત્ર વધારે ઢાંકી દીધું. મેં ફરી પૂછ્યું :
‘તમે બંસરી છો ?’
‘ના.’ જરા કડક, પરંતુ રડતા કંઠે તે સ્ત્રીએ જવાબ આપ્યો.
'હું ક્યાં છું?' મેં પૂછ્યું.
‘દવાખાનામાં.' તેણે કહ્યું.
મને એકદમ ભાન આવ્યું. મેં આંખ ફેરવી તો મને જણાયું કે હું મારી