પૃષ્ઠ:Bansari.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વકીલોની તકરાર:૧૩૧
 

કહો, ગમે તે કારણે તેણે પોતાની બધી જ મહેનત અને અક્કલ મારા બચાવ અર્થે વાપરી હતી. હું તેનો ઋણી છું. તેનું કહેવું એમ થયું કે :

“સજા ફરમાવતા પહેલાં નામદાર કૉર્ટને હું વિનતિ કરું છું કે જે ખૂન કરવામાં આવે છે તે ખૂનમાં મુદ્દામાલનું શરીર જ હસ્તગત થયું નથી. એટલે બધી સંભાવના રચવામાં આવે છે તે ધુમાડામાં બાચકા ભરવા જેવી છે. જો શરીર હાથ લાગ્યું હોત તો હું મારા વિદ્વાન મિત્રની બધી દલીલ એકદમ કબૂલ કરત. આ તો એક કલ્પના ઉપર મારા વિદ્વાન મિત્રે આખી ઇમારત રચી છે - જોકે તે ભલે ખરા જેવી લાગતી હોય છતાં તેનો પાયો જ ન હોવાથી તેનું અસ્તિત્વ માત્ર કોઈના મગજમાં જ રહેલું છે."

અત્રે નવીનચંદ્રે તકરાર કરી કે દિવ્યકાન્ત નાલેશીભર્યા વાક્યો બોલે છે. પરંતુ ન્યાયાધીશ આવી તકરારથી ટેવાઈ ગયેલા હોય એમ તેમણે કાંઈ પણ સાંભળ્યું નહિ. બધી દલીલ મારા વકીલને તેમણે કરવા દીધી. છેવટમાં મારા વકીલે કહ્યું :

"નામદાર ન્યાયમૂર્તિ ! મારી છેવટની અરજ છે. ઇન્સાફને નામ એક એવી ભૂલ ન થાય કે જે કદી સુધરી શકે નહિ. મારા અસીલે કાંઈ પણ ગુનો કર્યો હોય એવું સાબિત નથી. જે સાબિત થવાનું સામો પક્ષ કહે છે તે માત્ર દંતકથા છે. અરે દંતકથા જેટલું પણ સત્ય તેમાં નથી. જો સામા પક્ષે ઊભી કરેલી રચનાઓથી નામદાર કોર્ટ દોરાઈ જશે તો એક નિર્દોષ માણસને ફાંસીએ ચડાવ્યાના દોષ કર્યા બદલ પશ્વાસ્તાપનો પ્રસંગ આવે તેમ છે, એ તરફ હું ખાસ ધ્યાન દોરી મારા કુલને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા વિનતિ કરું છું.”

નવીનચંદ્રે જવાબ આપવા જેવું સામા પક્ષની દલીલને મહત્ત્વ ન આપ્યું.

બસ. હવે ન્યાયાધીશે જ્યુરીને બંને પક્ષની અને પુરાવાની હકીકત સમજાવી. હવે રહ્યો જયુરીનો અભિપ્રાય અને ન્યાયાધીશનો ઠરાવ.

સાંજે પાંચ વાગે જ્યુરીનો અભિપ્રાય અને ઠરાવ અપાશે એમ જાહેર થયું. મારી ને નસીબના છેલ્લા ફટકાની વચ્ચે બે કલાકનું છેટું રહ્યું.