પૃષ્ઠ:Bansari.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬: બંસરી
 


‘કર્મયોગીના વ્યાખ્યાનમાંથી તું શું જાણી લાવી ?’

'કર્મયોગી દેખાવડા બહુ છે, અને બોલે છે બહુ સારું.’ બંસરીએ જવાબ આપ્યો.

આ સિવાય કર્મયોગી સંબંધી મને કશી જ માહિતી નહોતી. મારો મિત્ર સુધાકર સુધરી જઈને ધાર્મિક પુરુષોના ચારિતાર્થ ચલાવે એવો ધાર્મિક બન્યો હોય એમ માનવા હું જરા પણ તૈયાર નહોતો.

‘તારે કાંઈ ધર્તિગ ચલાવવું હશે એટલે આ સાધુને ખોળ્યો હશે.' મેં સુધાકરને જણાવ્યું.

'ગમે તે હશે. તું એક વખત તેની પાસે તો ચાલ ?’ સુધાકરે કહ્યું.

'મારો વખત વધારે કિંમતી છે.’

'સાધુનું વ્યાખ્યાન ફરીફરી નહિ સંભળાય હો !’

‘તારું પોષણ પામેલાં સાધુનું વ્યાખ્યાન હું નહિ સાંભળું તો ચાલશે.'

‘જો તું અત્યારે નહિ આવે, તો મારે અને તારે સદાની દુશમનાવટ રહેશે.' સુધાકરે ધમકી આપી.

‘તારી અને તારા સાધુની દુશમનાવટની મને જરા પણ પરવા નથી.’

'ઠીક, તું જાણે ! પણ હું તારા સ્વાર્થની વાત કહું છું.’

‘મારો સ્વાર્થ તારે હાથે સુધારવો નથી.’

‘બહુ સારું. તો હવે જોજે.' કહી સુધાકર ચાલ્યો ગયો. તે મને પછી મળ્યો જ નહોતો. તથાપિ મારા લેણદારોને ઉશ્કેરી મને પૂરી પજવણી કરવાનો આરોપ મારા બીજા મિત્રો તેને માથે મૂકતા હતા.

આજે તેના હાથનો લખેલો પત્ર આવ્યો. આવે વખતે તેનો પત્ર આવે તે મને ચમકાવે એમાં નવાઈ નથી. એમાં શું લખ્યું હશે તેનો વિચાર આવ્યો. કંઈ કંઈ કલ્પનાઓ કરી. છેવટે મેં તે પત્ર ઉઘાડ્યો.

કાગળ ખાલી હતો ! પરબીડિયામાં કોરો કાગળ બરાબર ઘડી વાળીને મૂકેલો હતો. ઘણી વાર સુધી મેં તે કાગળને આમ તેમ ફેરવ્યા, પરંતુ કોરા કાગળને ગમે તેટલો ફેરવો, તેમાંથી શું જડે ? ખરે, સુધાકરે મારી દુઃખભરેલી સ્થિતિમાં મારી મશ્કરી કરી ! પરંતુ તે આવી મશ્કરી કેમ કરે? બંસરીના ખૂન બદલ સહાનુભૂતિ દર્શાવવી હોય કે તે બદલે ખુશાલી પ્રદર્શિત કરવી હોય તોપણ તે ગઈ કાલે બીડેલા કાગળમાં જ બની શકે. બંસરીનું ખૂન રાતમાં થયું હતું, અને કાગળ તો તે પહેલાં ટપાલમાં પડ્યો હોવો જોઈએ. હશે શું ?’

મને વિચાર આવ્યો કે ગમે તેમ કરીને મારે સુધાકરને ત્યાં જવું. જમી,