પૃષ્ઠ:Bansari.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંધકારમાં અજાયબી : ૮૧
 


‘પણ હું ક્યાં નાસી જાઉં ?’

'આ સ્થળથી બહાર અને આ ગામથી બહાર.'

‘તું અહીં શું કરીશ ?' મેં પૂછ્યું. આવા સ્થળમાં તને એકલો છોડી હું નાસું એ મને ઠીક લાગ્યું નહિ.

‘તેની તારે શી પરવા ? હું કહું તેમ કર, નહિ તો તું મુશ્કેલી વધારી મૂકીશ.’

‘હું તને એકલો છોડીને જાઉં એ બને એમ નથી.’

‘તારાથી અહીં રહીને પણ કશું બને એમ નથી.'

'કારણ ? હમણાં જ મેં પેલા લોકોને બહાર કાઢ્યા.' ઘડી પહેલાં રિવૉલ્વરનો ભય બતાવી જ્યોતીન્દ્રની સામે થનાર બદમાશોને ઓરડાની બહાર મોકલી દીધાની બહાદુરીનો મેં ઉલ્લેખ કર્યો.

‘એ તેં ઠીક કર્યું. જોકે તું ન હોત તોપણ એટલા માણસોને તો હું સહેજમાં હઠાવત. ખરી મુશ્કેલી હવે જ છે.’

‘એ ખરી મુશ્કેલીમાં હું તને એકલો મૂકી ચાલ્યો જાઉં, ખરું ?’

‘હવે તું લાંબી વાત જવા દે, અને ક્ષણ પણ ગુમાવ્યા વિના અહીંથી ચાલ્યો જા.'

‘પેલી સ્ત્રી કોણ છે ?'

‘હું શું કહું છું? એ કુંજલતા છે. હવે બીજું કાંઈ પૂછીશ નહિ.’

‘શું ?' એકદમ આશ્ચર્યથી ચમકી મેં પૂછ્યું. એ મારું આશ્ચર્ય શમે નહિ તે પહેલાં તો એકાએક બધી બત્તીઓ બુઝાઈ ગઈ અને ઓરડામાં અંધારું ઘોર થઈ રહ્યું.

'મેં શું કહ્યું હતું ? મને એ જ ભીતિ હતી. મારી વીજળીબત્તી પણ લગભગ વપરાઈ ગઈ છે.' જ્યોતીન્દ્રનો અવાજ અંધકારમાંથી આવ્યો.

'તેનો ઉપયોગ કરી હવે નાસી જા.' મેં સલાહ આપી.

'હું તો આ ઓરડામાં પુરાઈ ગયો છું. નાસવાનો રસ્તો હવે મળે એમ નથી.'

'હું કાંઈ મદદ કરું, તું કહે તેવી રીતે.'

‘મહેરબાની કરી તું અહીંથી ચાલ્યો જાય તો મને ઘણી મદદ મળે.' તેણે કહ્યું.

હું થોડી વાર બોલ્યા વગર બેસી રહ્યો. ઓરડામાં પણ અંધકાર અને શાંતિનો ફેલાવો હતો.

‘જ્યોતિભાઈ ! સુરેશ ! તમે નાસી જાઓ. ફાવે ત્યાં જાઓ. નહિ તો