પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


હતો કે દારૂ છોડવામાં કેવો ચમત્કાર છે અને દારૂ પીવામાં કેવી તેજોહીનતા અને નામર્દાઈ આવી જાય છે.

અને દૂબળા ને તેમના શેઠ ધણિયામાં પણ ભેળા થતા હતા, પ્રેમના પાશમાં બંધાતા જતા હતા. દૂબળો વેઠ કરવાની ના પાડે તો ધણિયામાના કરતાં એ લડતમાં તેનો હિસ્સો વધી ન જાય ?

બારાડોલીના સત્યાગ્રહને વિષે જરા પણ જે કોઈ જાણે છે તે જાણે છે કે શ્રી. વલ્લભભાઈએ બારડોલીમાં બીજાને બોલવાની બંધી કરી હતી. હજી આ બંધી અમલમાં આવી નહોતી. રવિશંકરભાઈ જેવા ક્યાંકક્યાંક બોલતા. વલ્લભભાઈનાં ભાષણો તો હું આપતો ગયો છું અને આપીશ. પણ રવિશંકરનાં ભાષણોમાંથી એક નમૂનો આપવાનું મન થાય છે. બારડોલી વિષે હવે બહાર ઠેરઠેર સભા થઈ રહી હતી. જલિયાંવાલા દિનને નિમિત્તે ૧૩ મી એપ્રિલે સૂરતમાં થયેલી સભામાં રવિશંકરભાઈએ બારડોલીની લડતનું રહસ્ય આમ સમજાવ્યું :

“કલ્યાણજીભાઈએ મને સરભોણથાણાના થાણદાર તરીકે વર્ણવ્યો તેથી હું શરમાઉં છું. હું થાણદાર નહિ, પણ એક તેડાગર છું.

આજે જલિયાંવાલા બાગનો દિવસ છે. એવા જબરા પહાડી પંજાબીઓએ એ બધાં અપમાનો કેમ સહન કર્યા હશે ? એનું કારણ એ હતું કે તેમને વર્ષો થયાં આ સરકારે મનુષ્યત્વ હરણ કરનારી શિક્ષા આપી હતી. એ ભણતરથી તેમનાં હૃદયો એટલાં ભીરુ થઈ ગયાં હતાં કે ગાંધીજી ત્યાં તપાસ કરવા ગયા ત્યારે કોઈ તેમને પોતાને બારણે ઊભા રહેવા દેવાની પણ હિંમત નહોતું કરી શક્યું. તેમને રાષ્ટ્રીચ કેળવણી નહોતી મળી.

ત્યારે રાષ્ટ્રીય કેળવણી કેવી હોય ? હું કોઈ પંડિત નથી, એટલે રાષ્ટ્રીય કેળવણી ઉપર મોટું ભાષણ આપીને આજે તમને હેરાન કરીશ એમ કોઈએ ડરવાનું કારણ નથી. એટલું તો ખરું જ કે રાષ્ટ્રીચ કેળવણી એ જે જાતનું આપણે આજ સુધી ભણીએ છીએ તેનાથી જુદી જ છે.

મને એક પ્રસંગ યાદ આવે છે. હું એકવાર કંઈક કામસર ગાંધીજીની પાસે ગયો હતો. તે વખતે વિદ્યાપીઠની સ્થાપના કરવાના વિચારો ચાલતા હતા, અને ગુજરાતનું વિદ્વાન મંડળ ગાંધીજી સાથે બેસીને મહાવિદ્યાલયના આચાર્ય પદ માટે કોને નિયુક્ત કરવા એની ચર્ચા ચલાવી રહ્યું હતું. મારા જેવાને તો એમાં શી સમજણ પડે ? પણ તે વખતે

૯૨