પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેડૂતોના સરદાર
 

 એ સાચા હિંદુસ્તાનના ઉદ્ધારના એકબે મંત્ર પણ તેમણે સાથે સાથે રાખી દીધા. એ મંત્રોને અમલમાં મૂકવાનું કામ ગુજરાતમાં, અને એક રીતે આખા દેશમાં, સ્વ. મગનલાલ ગાંધી અને શ્રી. વલ્લભભાઈએ જેવું કર્યું છે તેવું કોઈએ કર્યું નથી. દેશનું કેન્દ્ર ખેડૂત છે એ મહા સત્ય શ્રી. વલ્લભભાઈમાં ૧૯૧૭–૧૮ માં ગાંધીજીએ જાગૃત કર્યું, પ્રગટ કર્યું એમ કહું; કારણ ઊંડે ઊંડે એ છુપાયેલું તો હતું જ. પણ એ પ્રગટ થતાંની સાથે જ શ્રી. વલ્લભભાઈમાં જેવું એ ભભૂકી ઊઠ્યું તેવું ભાગ્યે જ કોઈનામાં ભભૂકી ઊઠ્યું હશે. ખેડૂત નહિ એવા તત્ત્વદર્શીએ ખેડૂતનું સ્થાન ક્યાં છે, ખેડૂતની સ્થિતિ કેવી છે, તેને ઊભા કરવાનું સાધન કયું છે એ કહી દીધું. જેનું હાડેહાડ ખેડૂતનું છે એવા તેના શિષ્ય સાનમાં એ ત્રણે વાત સમજી ગયા, અને દૃષ્ટાના કરતાં પણ વિશેષરૂપે એનું રહસ્ય લોકો આગળ ખોલી બતાવ્યું. બસ તે દિવસથી ખેડૂતના કરતાં બીજા કોઈ વર્ગનાં હિતે એમના હૃદયમાં વધારે વાસ કર્યો જાણ્યો નથી. ખેડૂતની પહેલી સેવા કરવાની તક એમણે ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં સાધી, પણ બારડોલીમાં જે અવસર આવ્યો એ અપૂર્વ હતો.

ખેડૂત વિષેના ઉદ્‌ગારો તેમનાં બારડોલીનાં ભાષણોમાં જેટલા જોવાના મળે છે તેટલા અગાઉના કોઈ ભાષણમાં જોવાના નથી મળતા. ખેડામાં તો તેઓ ગાંધીજીની સરદારી નીચે સિપાઈ હતા એટલે ઝાઝું બોલતા જ નહોતા; બોરસદની લડત હતી તો ખેડૂતની જ લડત, પણ તે ખેડૂતમાત્રના સામાન્ય દુઃખમાંથી ઉઠેલી લડત નહોતી. બોરસદનો પ્રશ્ન વિશિષ્ટ હતો, અને એ વિશિષ્ટ પ્રશ્નને અંગેનાં જ ભાષણો ત્યાં થતાં. પણ જમીનમહેસૂલનો પ્રશ્ન એ જ ખેડૂતનો મુખ્ય પ્રશ્ન એટલે ગુજરાતના ખેડૂતોની સેવા કરવી હોય તો તે જમીનમહેસૂલના કૂટ પ્રશ્નનો નિકાલ કરેલે જ થઈ શકે એવો એમનો જૂનો નિશ્ચય હતો. એ સેવાની તક એમને બારડોલીએ આપી. બારડોલીવાળા જ્યારે એમને બોલાવવા આવ્યા ત્યારે ભાઈ નરહરિના લેખો એમણે વાંચેલા હતા. ગાંધીજીએ જ્યારે એમને પૂછ્યું કે બારડોલીના ખેડૂતોની ફરિયાદ

૯૫