પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બારડોલી

“આપણે જગબત્રીસીએ ચડી ગયેલા છીએ, પણ એ તો રામના પાસથી પથ્થર પાવન થાય તેમ એક મહાન પુરુષના નામથી આપણું નામ ચડી ગયું છે. હવે આપણી કસોટી થશે.”

પુરુષનું નસીબ પાંદડે ઢાંકેલું કહેવાય છે, તેમ પ્રાંત અને પ્રદેશનું પણ પાંદડે ઢાંકેલું હશે ? ગુજરાતને ૧૫ વર્ષ ઉપર કોણ જાણતું હતું ? ગુજરાતના વેપારીઓએ અને સાહસિક વર્ગોએ મહાગુજરાત વસાવ્યું અને સાગર મહાસાગરને કિનારે સંસ્થાનો જમાવેલાં; ગુજરાતના દાનવીરોએ દેશના બધા પ્રાંતોમાં ગુજરાતની કીર્તિ ફેલાવેલી; પણ શૂરાતન માટે ગુજરાતનું નામ ઇતિહાસને પાને ચડયું જાણ્યું નહોતું. ગાંધીજીએ ગુજરાતને ઇતિહાસને પાને ચડાવ્યું. દશ વર્ષ ઉપર બારડોલીને પણ કોણ જાણતું હતું ? પણ આજે બારડોલીને જગત જાણે છે — જોકે બારડોલીને હજી એ વાત ગળે ઊતરવી અઘરી પડે છે.

સુરત જિલ્લાને પૂર્વ ખૂણે આવેલો એ તાલુકો રરર વર્ગમાઇલના ક્ષેત્રફળનો છે, અને એમાં ૧૩૭ ગામડાં છે. એની ઉત્તરે તાપી નદી વહે છે, પૂર્વ અને પશ્ચિમે ગાયકવાડ સરકારની હદ છે, અને દક્ષિણે પણ થોડી ગાયકવાડી હદ અને જલાલપુર તાલુકો આવેલા છે. ગાયકવાડી હદ આમ ત્રણ દિશામાં આવેલી છે એ નોંધવાજેવી વસ્તુ છે એમ સત્યાગ્રહના ઇતિહાસમાં ગાયકવાડી હદનાં ગામોએ આપેલો હિસ્સો જોવાથી વાચકને સમજાશે. મિઢોળા, વાલ્મીકિ અને પૂર્ણા નદીઓ આ તાલુકામાંથી વહી અરબી સમુદ્રને મળે છે. એકેના ઉપર પુલ નથી કે ચોમાસામાં એકે એાળંગાય એવી નથી. તાલુકાના પશ્ચિમના ભાગમાં ઉત્તમ પ્રકારની કાળી જમીન છે, અને તેમાં કપાસ, જુવાર, ભાત વગેરે