પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ઈશ્વરકૃપાથી પાક્યું છે તો મહેસૂલ ભરી દેવું એ તમારો ધર્મ છે. કરોડો રૂપિયાની લોન લઈ એ છીએ તે દેવું તમારે જ માથે છે. વળી સરકાર ૧૦ લાખ રુપિયા મફત પણ આપે છે. તે ઉપરાંત લોકોએ પંદરવીસ લાખ રૂપિયાની મદદ કરી છે. સરકારે પણ મને કમને પણ થઈ શકે તેટલી મદદ કરી છે, ત્યાં પછી એવા સંજોગોમાં તેની સાથે કજિયા કરવા એ આપણને શોભતું નથી. હું અભિમાન નથી કરતો, પણ જે સત્ય હકીકત છે તે કહું છું કે જો સમિતિનાં માણસોએ વખતસર મદદ ન કરી હોત અને તુરત બી પૂરું પાડ્યું ન હોત તો સરકારને આ વર્ષે ગુજરાતના જમીનમહેસૂલમાં પ૦ થી ૬૦ લાખનું નુકસાન થવાનું હતું. આમ છતાં જ્યારે મેં બારડોલી તાલુકાના ખેડૂતની વાત સરકારને લખી કે એમને અન્યાય થયો છે, ખેડા કેટલો પાયમાલ થઈ રહ્યો છે એ જણાવ્યું, અને ગુજરાતમાં એક બે ઊભા રહ્યા હશે તેમને તમારું સ્ટીમરોલર કચડી નાંખશે એમ કહ્યું ત્યારે મને જવાબ આપે છે કે ‘તું તો બહારનો છે’ !”

પણ હવે તો સરકારને કશું સંભળાવવાનું કે ખુલાસા કરવાનું રહ્યું નહોતું. સરકાર આગળ શાં પગલાં લેવાં તેની પેરવીમાં હતી, તેની ઊંઘ અને ઉદાસીનતામાં — અથવા તેના અભિમાનયુક્ત પ્રમાદમાં — હવે ભંગ પડ્યો, દરિયાની હવા ખાતા કમિશનર મિ. સ્માર્ટને સૂરત જવાના અને ત્યાં મુકામ કરવાના હુકમ મળ્યા, અને કલેક્ટર જે પાસેના રાજ્યમાં એક ટેકરી પર હવા ખાતા હતા તેમને પણ ટેકરી ઉપરથી ઉતરવાના હુકમ નીકળ્યા. ખૂબીની વાત એ છે કે આજ સુધી કલેક્ટરને બારડોલીમાં આવવાની ગરજ જણાઈ નહોતી. પોતાના એક મહત્વાકાંક્ષી ડેપ્યુટીને ચશ્મે જ તે આખી પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા હતા. પણ હવે તેમને પરાણે બારડોલીની મુલાકાતે આવવું પડ્યુ. બારડોલીમાં તેમણે શું જોયું ? બધી દુકાનો બંધ, બધાં ઘરનાં બારણાં બંધ. જપ્તી કરવાવાળાઓ સામે લોકોનો બીજો શો ઉપાય હોય ? આપણે જોઈ ગયા છીએ કે આખા તાલુકામાં ગામડાં બધાં સ્મશાનવત્ લાગતાં, કારણ કોઈ અમલદારાને પંથે ચડતું નહોતું, અને કામ વગર બારણાં ઉઘાડતું નહોતું. પણ કલેક્ટરે જૂની આંખે નવા તમાશા જોયા. તેમણે બારડોલીથી બીજે ક્યાંક જવાનો વિચાર કર્યો. પોલીસના માણસો તેમને માટે

૧૦૪