પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ મું
ખામોશીના પાઠ
 

 પાસે રજૂ કરવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે પૂરતા પ્રાયશ્ચિત્ત અને ભાવી વર્તનની ખોળાધરી વિના કડોદને ન લેવામાં આવે. સરદારે તેમને શુદ્ધ પશ્ચાત્તાપ એ જ પ્રાયશ્ચિત્ત છે એમ કહીને કડોદને દરગુજર કરવાનું કહ્યું. નવું સત્યાગ્રહી બનેલું કડોદ બીજા સત્યાગ્રહીઓથી આગળ જઈ આકરા બહિષ્કારના ઠરાવો કરવા લાગ્યું હતું. ગામમાં નવા આવેલા ખ્રિસ્તી જપ્તીઅમલદારને ગામમાંથી સીધુંપાણી કશું ન આપવાના ઠરાવ કરવામાં આવ્યા. શ્રી. વલ્લભભાઈએ એક લાંબા ભાષણમાં શુદ્ધ સત્યાગ્રહનું રહસ્ય સમજાવી આ ઠરાવ રદ કરવાની તેમને ફરજ પાડી અને ભવિષ્યમાં આવનારાં તોફાનની સામે ગમે તેવા ઉશ્કેરનારા સંજોગોમાં પણ ન ઉશ્કેરાવાની સલાહ આપી. ખુમારી ચડાવવાની સલાહની હવે જરૂર નહોતી, હવે ખામોશીના પાઠ ભણાવવાનો સમય આવ્યો હતો :

“મારા સાંભળવામાં આવ્યું છે કે તમારા ગામમાં આજે એક ખ્રિસ્તી જપ્તીઅમલદાર નિમાયા છે તેને ગામમાંથી સીધુંસામાન મળતાં નથી. મારી સલાહ છે કે એમ ન કરશો. અમલદાર કંઈ આપણા દુશ્મન નથી. એ બિચારો હુકમનો તાબેદાર થઈ ને આવ્યો છે. હુકમનો અનાદર કરી નોકરી છોડવાની તેની હિંમત નથી. તેના ઉપર આપણને દ્વેષ ન હોય. કોઈની જિંદગીની જરૂરિયાતો અટકાવવી, દૂધ, શાક, ધોબી, હજામ ન મળે એમ કરવું એ સત્યાગ્રહ નથી. બજારમાંથી મળતી ચીજો પૂરા દામ આપતાં સૌની જેમ તેમને પણ મળવી જોઈએ. એક અજાણ્યો માણસ ગામમાં આવીને પડે ને તેનો આવો બહિષ્કાર કરે તો તેની કેવી સ્થિતિ થઈ પડે ? તેનાથી ન નોકરી છોડાય, તેમ ન લોકોનો ત્રાસ સહેવાય. આવી સ્થિતિમાં કોઈને મૂકવો એ સત્યાગ્રહ નહિ પણ ઘાતકીપણું કહેવાય, માટે ઘી, દૂધ, શાક તેમજ જો કોઈ માંદો પડે તો દવા વગેરે જિંદગીની જરૂરિયાતો કોઈ અટકાવે નહિ. જરૂર જપ્તીના કામમાં તેને કોઈ જાતની મદદ ન કરવી, ગાડી કે મજૂર કે પંચ એવું કશું આપવાની સાફ ના કહેવી. તેને કહી દેવું કે અમારે તમારી ઉપર રોષ નથી, તમે ખ્રિસ્તી હો કે હિંદુ હો કે મુસલમાન હો — અમારે તો બધા સરકારી નોકર સરખા છે, અમારે તમારી સાથે અંગત વિરોધ કંઈ જ નથી, પણ અમારી સામે તમે જપ્તીના દરોડા લાવો તેમાં અમે તમને મદદ ન જ આપી શકીએ. આપણો ઝગડો તો મોટાઓ સાથે છે, આવા ગરીબ નોકરો સાથે નથી. આપણું બળ તો સભ્યતાથી દુઃખ સહન કરવામાં રહેલું છે. સરકારમાં નબળાઈ છે તેથી તે

૧૦૭