પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૬
પ્રચંડ ભઠ્ઠી


“બારડોલી તાલુકામાં આજે એક પ્રચંડ ભઠ્ઠી સળગાવવામાં આવી છે. તેમાં શુદ્ધ બલિદાન આપવાનું છે… ભલે ગોરું લશ્કર આવે અને ગામેગામ સોલ્જરો બેસે. તેથી એ ડરાવી નહિ શકે. આપણે એવું શાંત સ્વચ્છ વર્તન રાખો કે આ બધી પોલીસને ભમરડે રમવા સિવાય બીજું કંઈ કામ ન રહે.”

ખાલસાની નોટિસની સંખ્યા હવે લગભગ હજાર સુધી પહોંચી હતી. અને ખાલસા થનારી જમીનની કિંમત તો નવો સરકારધારો અનેક વખત તેનાંથી ભરાય એટલી હતી. આ જમીનને તો સરકાર કશું કરી શકે એમ નહોતું. પણ લોકોને જે રસ્તે જેટલા દબાવાય તેટલા દબાવવા અને તોડવા એટલો જ હેતુ હતો. લોકો આ ખાલસાની નોટિસને પણ પીળાં પતાકડાંની જેમ ગણવા લાગ્યા.

સરકાર નિર્લજ્જતામાં આગળ વધ્યે જતી હતી. ભેંસોને હરાજીમાં લેનાર તાલુકામાંથી કોઈ મળે નહિ એટલે બહારથી ખાટકીઓને સમજાવીને લાવવામાં આવતા હતા. લોકોને આથી વધારે ઉશ્કેરનારી વસ્તુ બીજી કઈ હોઈ શકે ? એક ભેંસનો તો બારડોલી થાણામાં ભોગ લેવાયો હતા એ આપણે જોઈ ગયા. તાપમાં ભેંસો પાણી વિના ટળવળતી હતી અને બરાડા પાડતી હતી, લિલામ થતાં જાય તેમ પાણીને મૂલે તે કસાઈ ને ઘેર જતી હતી. બારડોલીના નગરશેઠે માલતદારને કહ્યું, ‘આ બિચારી ભેંસોને બરાબર ઘાસચારો અને પાણી મળે તે માટે હું થોડું દાન આપવા માગું છું.’ મામલતદારે કહ્યું, ‘સરકારની પાસે તિજોરીમાં પૂરતાં નાણાં છે, તેમને તમારી મદદ નથી જોઈતી !’

૧૧૯