પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ મું
પ્રચંડ ભઠ્ઠી
 

 ન સમજાયું : મારે ઘેર ખાતુંપોતું નહિ, અને આ શી બલા આવી છે !

તલાટી : કેમ તમારે ખાતું નથી ? તમારી પાસે રૂા. ૧પ-પ-૫ નીકળે છે તે લાવો.

પ્રેમી : અહીં કેવું લેણું ? અમારી પાસે પાંચ વરહ થિયાં ભોંયનું ઢેફું ની મલે ને તમે લેણું કાંથી કાઢો ?

તલાટી : ત્યારે કેશવું ઉકાનું ઘર કયું ?

પ્રેમી : તે ઉં હું જાણું ? હોધી લેવની.

મહાલકરી : ઘરવાળાનું નામ શું ?

પ્રેમી : નામ હું નથી કહેવાની, અમારું ખાતું નથી, બહાર જાઓ.

મહાલકરી ઘરને પાછલે બારણેથી જવાની તૈયારી કરતા હતા એટલે પ્રેમીબાઈએ તેમને રોક્યા. મારા ઘરમાં થઈને પાછલે બારણે નહિ જવાય એમ કહી તે રસ્તો રોકી ઊભાં રહ્યાં. તેની છોકરીએ બારણું બંધ કર્યું. સૌ નિરાશ થઈને પાછા વળ્યા.

આવી વીરાંગનાઓ અજાણી અણધારી જ્યાં ત્યાં નિર્ભયતાનો મંત્ર ઝીલીને વાતાવરણને શુદ્ધ અને વીરતાભર્યું બનાવી રહી હતી.

વાલોડવાળા દોરાબજી શેઠનો કિસ્સો હજી બંધ થયો નહોતો. આ એક પારસીને ઢીલો પાડી સરકારને બધા પારસીને વશ કરવા હતા. પણ જેમ વાણિયાઓને જપ્તીનોટિસ આપીને પસ્તાયા, જમીન ખાલસાની નોટિસ આપીને પસ્તાયા, તેમ આ પારસીના ઉપર સિતમ ગુજારીને પણ તેમના નસીબમાં પસ્તાવાનું રહ્યું. અને એક પારસીના ઉપર આટલો સિતમ શો ? એ કોમ તો દારૂતાડીની વેપારી હોઈ સરકારી રાજ્યના એક ટેકારૂપ. તેટલા ખાતર પણ સરકાર ઉદાર થઈને એક ટેકીલા પારસીને જવા દઈ શકતી હતી. પણ નહિ; તેણે તો જેણે વધારે બહાદુરી બતાવી તેને વધારે પજવ્યા. આ કિસ્સામાં એક બીજી વસ્તુ નોંધવા જેવી હતી. જે દારૂની દુકાનમાં જપ્તી થઈ તેના માલિક એકલા દોરાબજી જ નહિ પણ તેનાં સાસુ બાઈ નવાજબાઈ હતાં. આ બાઈની ધીરજ આટઆટલી સતામણીમાં કેમ રહી હશે ! કદાચ તે તેના

૧૨૧