પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ મું
પ્રચંડ ભઠ્ઠી
 

 ગુના માટે થઈ. આ કેસમાં અપાયેલા ચુકાદાનો બીજે ઠેકાણે વિચાર કરશું.

આ તો બે જૂના જોગીઓ — એમને એકવાર શું અને અનેકવાર શું, જેલજાત્રા એ બીજી જાત્રા જ હતી. પણ હવે આ ‘બહાર’ ના કાર્યકર્તાઓને પકડવા છોડી સ્થાનિક કાર્યકર્તાઓ ઉપર સરકારે હાથ ચલાવવા માંડ્ચો. વાલોડમાં ડાક્ટર ચંદુલાલના હાથ નીચે એક નાનકડી સેના હતી. આ સેનામાંના ત્રણ જણને સરકારનાં તેડાં આવ્યાં. આમાંના બે તો કાઠિયાવાડના વીરો હતા, — ભાઈ શિવાનંદ અને અમૃતલાલ. પણ ત્રીજા વાલોડના એક લોકપ્રિય અને ત્યાગી કાર્યકર્તા સન્મુખલાલ હતા. પહેલા બેને તો જેલ જવામાં વિશેષતા નહોતી, કારણ કેટલોયે સમય થયાં તેઓ આવાં કામોમાં પડેલા હતા, પણ ભાઈ સન્મુખલાલને માટે આ નવો લહાવો હતો. આઠ વર્ષ થયાં તે પણ આવાં કામોમાં રસ લેતા હતા, ૧૯૨૧ માં પણ તેમણે કમર કસેલી હતી, છતાં તેમણે લોકસેવાને ધંધો કરી મૂકેલો એમ ન કહેવાય. બારડોલીની લડત જાગી ત્યારથી તેમણે નથી જાણ્યો થાક કે નથી જાણ્યાં ભૂખતરસ; તાલુકાની સેવામાં ફના થવાને માટે તેઓ તૈયાર થઈ રહેલા હતા. એમના વિના ડા. ચંદુલાલ વાલોડને અજેય ગઢ બનાવી શકે એમ નહોતું. ૨૮ વર્ષની તેમની ઉંમર છે. ઘરમાં માત્ર વિધવા માતા. એ તેમને જેલ વળાવવાને માટે બારડોલી આવ્યાં હતાં, તેમને વિદાય દેવાને માટે મળેલી વાલોડની સભામાં હાજર હતાં. તે આનંદ અને ઉત્સાહથી ઊભરાતાં હતાં એમ તો નહિ કહું, પણ હિંદુ મહિલાને છાજે એવી મર્યાદાથી પોતાની હિંમત દાખવી રહ્યાં હતાં. એ માતાનું દર્શન કરીને કોણ પવિત્ર ન થાય ?

અને એ સભા પણ કેવી ! અગાઉ મોટી મોટી સભા મેં આ ગામમાં જોઈ હતી, પણ અગાઉની બધી સભાઓને ભુલાવે એવી આ. હજારોની મેદની હતી, પણ અપાર શાંતિ — જાણે કાઈ મહાગંભીર પુણ્યકૃત્યને માટે જ ભેગા થયા હોય ની ! શ્રી.વલ્લભભાઈની વાણીમાં પણ તે દિવસે મેં કોઈ અજબ

૧૨૩