પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ મું
પ્રચંડ ભઠ્ઠી
 

 ગર્વ ન કરૂં તો બીજું કોણ કરશે ? આટલી ખાલસાનોટિસો પોચા ગણાતા મારા વણિક ભાઈઓ ઉપર ! જેલજાત્રાનાં આમંત્રણની શરૂઆત પણ વાલોડથી ! લાગણીવાળા નૌજુવાન ભાઈઓને કહું છું કે આ વાલોડ જે આજે તાલુકાનું નાક બન્યું છે તેને દીપાવજો. તમને ડરાવવા, ફોડવા, ભાંગવા ગમે તેટલી ધાંધલ કરવામાં આવે — ને કરવામાં આવશે જ; પણ કોઈ ડરશો નહિ, જપ્તીખાલસાનાં નાટકો થયાં તેવાં જેલોનાં થશે. સરકારે જેલના મહેમાનો માગવા માંડ્યા છે, તે તમે એને મોંમાગ્યા દેજો. બહારના દેવા ન પડે તે પહેલાં તમે તાલુકાના પૂરતી સંખ્યામાં દેજો. એ સંખ્યામાં પણ વાલોડ તરફથી મને ઘણી ઉમેદ છે તે પૂરી કરજો. હિન્દુમુસલમાનના ટંટા કરાવવાના પ્રયત્નો કરવામાં આવશે. એવાં ધતિંગોને કોઈ કાને ધરશો નહિ, એમાં ફસાશો નહિ ને તમારા નિશ્ચયથી ડગશો નહિ. પ્રભુ તમારા બધામાં બારડોલીની અને વાલોડની ઇજ્જતને માટે દુઃખ સહન કરવાની તાકાત લાવે. આપણા સરદાર જેમને આપણે બોલાવીને આણ્યા છે તેમને તમે તમારી મક્કમતાની ખાતરી આપો; ફના થઈ જજો પણ તેમનું નાક ન કપાવા દેજો, ને જે ફતેહ મળે તે માનથી મળે એવું કરજો. પ્રભુ તમને એટલી તાકાત આપો.”

સવારે વાલોડથી એ ત્રણ વીરો નીકળ્યા તેમને વળાવવા આખું ગામ ઊભરાયું. લોકોએ હર્ષાશ્રુથી તેમને વળાવ્યા. એક મુસલમાન ભાઈ તો આવેશમાં સ્તબ્ધ થઈને પડ્યા.

ક્યાં એ ગંભીર દૃશ્ય અને ક્યાં એ જ વીરોના ઉપર જ્યાં કામ ચાલ્યું તે અદાલતનાં હાસ્યજનક દૃશ્ય !

ભાઈ સન્મુખલાલ ઉપર આરોપ એવો હતો કે પ્રાણજીવનદાસ નામના શખ્સના ઘરમાંથી તલાટી, રેવન્યુ પટાવાળો તથા જપ્તીઅમલદાર જુવારની ત્રણ ગૂણો જપ્તીમાં લેતા હતા તે વખતે જપ્તીનું કામ નહિ કરવાનું સમજાવવાના હેતુથી આરોપીએ તલાટીને અને સરકારી પટાવાળાઓને સામાજિક બહિષ્કારથી નુકસાન પહોંચાડવાની ધમકી આપી. સરકાર તરફથી સાક્ષીમાં તલાટી અને પટાવાળા. પટાવાળામાં એક દૂબળો અને એક રજપૂત. ત્રણેને બિચારાને શીખવેલી જુબાની આપતાં મુશ્કેલી પડતી હતી. ઘણીવાર સરકારી વકીલ તેમનાં મોંમાં શબ્દો અને વાક્યો મૂકવાનો પ્રયત્ન કરતો હતો, ઘણીવાર મૅજિસ્ટ્રેટને સરકારી વકીલને ધમકાવવો

૧૨૫