પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ મું
દાઝ્યા ઉપર ડામ
 

 હવે લોકોને બે બોલ. સરકારનું રાજ્ય ફૂટ પડાવવાની નીતિ ઉપર જ નભી રહ્યું છે. એ આંખમાં ખૂંચે એવી રીતે બતાવવાને માટે સરકારે મોટે ભાગે હિંદુવસ્તીવાળા તાલુકામાં મુસલમાન અમલદારો અને ભાડૂતી પઠાણો ઠસાવવાનું ડહાપણ ડોળ્યું છે. સત્યાગ્રહી તરીકે લોકો સહેલાઈથી સરકારના પેચને પહોંચી વળી શકે એમ છે. અમલદારો ને પઠાણોને તેઓ મિત્ર સમજે, તેમનો અવિશ્વાસ ન કરે, અથવા કોઈ પણ રીતે તેમનો ડર ન રાખે અને તેમને પજવે નહિ. એ અમલદારો આપણા દેશબંધુઓ છે, અને એ પઠાણો આપણા પડોશીઓ છે, સરકારને પોતાની ભૂલની ખબર પડવામાં અને હિંદુની ઇજ્જત મુસલમાનને અને મુસલમાનની ઇજ્જત હિંદુને સરખી જ પ્યારી છે એમ સમજાવવામાં વાર નહિ લાગે. આ વસ્તુ પ્રત્યક્ષ રીતે સિદ્ધ કરવાની તક બારડોલીના લોકોની પાસે પડેલી જ છે. સત્યાગ્રહનું શસ્ત્ર એ પ્રેમનું શસ્ત્ર છે. એનું તેઓ પૂરેપૂરું પાલન કરશે તો તેઓ આપખુદ કમિશનરનું પાષાણ હૃદય પણ પિગળાવી શકશે.”

આ અલ્પ દેખાતા કાગળે કેવો મોટો ખળભળાટ મચાવ્યો એ તો આ પછીનાં પ્રકરણોમાં જોઈશું.