પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી
 

 આ એક ગામ હતું, અને વધારો ન કર્યો છતાં લડતમાં જોડાવાને માટે આટલી આકરી તાવણી ત્યાં થઈ હશે. બાકીનાં ત્રણ ગામો તો કોળી, રજપૂત અને દૂબળાનાં હતાં, પણ ચારે ગામો સરકારી નોકરોના મેલા હુમલાઓ છતાં અખંડ અડગ ઊભાં હતાં. ‘આખા તાલુકાની સાથે તરવું કે મરવું’ એ સરદારની વાત તેમની રગેરગમાં ઊતરી ગઈ હતી. સરભોણ જેવાં ગામ જે લડાઈમાં મોડાં ઊતર્યાં હતાં તે તો આખા તાલુકાના નાકરૂપ થઈ પડ્યાં હતાં. કાયદેસર પગલાં લેવા જતાં સરકારને ખબર પડી કે તેનાં હથિયાર કેટલાં નકામાં થઈ ગયાં હતાં. સરકારને કોઈ પગી નહોતો મળતો, લિલામની વસ્તુઓ લેનાર એકે પ્રામાણિક સજજન નહોતો મળતો, જમીન ખરીદનાર તાલુકાનો કે બહારનો એકે પ્રતિષ્ઠિત ખાતેદાર નહોતો મળતો.

એક બાજુથી આ ગ્રામસંગઠન અને બીજી બાજુથી સરદારની કુશળ વ્યુહરચના સૌને આશ્ચર્ય પમાડતી હતી. સરકાર કાયદેસર લડે તો તો બહુ મહેનત કરવાપણું નહોતું, પણ કાયદાને કોરે મૂકીને ચાલનારા અથવા તો કાયદામાં મૂકેલી મર્યાદાનો ભંગ કેવી રીતે કરી શકાય એના જ વિચારમાં નિશદિન ભમતા, કૂડકપટ, પ્રપંચ, જૂઠાપણાનો ડગલેડગલે આશ્રય લેતા સરકારના સ્તંભો સામે ઊભા રહેનારા ભડ થાણદારો સિવાય સરદાર પણ શું કરત ? એક તરફથી સરકારને ‘ મદથી છકેલા, જેમને જુવાની તેમજ અમલનો બેવડો મદ ચડેલો છે, અને તેને કાબૂમાં રાખવાને અક્કલ નથી એવા’ માણસો મળ્યા હતા. બીજી તરફથી સરદારને કુંદન જેવા સાથી મળ્યા હતા, સરદારને સાચી પરિસ્થિતિથી વાકેફ કરનારા, નબળાઈ ને ઢાંકનારા, અને સરદાર પણ જેની પવિત્રતાને નમે એવા સાથીઓ મળ્યા હતા.

અને આ થાણેદારોના કિલ્લા સ્વયંસેવકોની સેના વિના શી રીતે નભી શકત ? એ લોકોને તાપ, તડકો અને તરસ જેવી વસ્તુ નહોતી, ગમે તેવે રસ્તે કાળી રાતે જતાં એમની છાતી ડગતી નહોતી. પત્રિકાઓ વહેંચવા કે પત્રિકાનો મસાલો ભેગો કરવા ઉજાગરા કરીને પણ તેઓ અમુક સમયે મુખ્ય થાણે અને મુખ્ય

૧૫૫