પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ગામે પહોંચવાનો આગ્રહ રાખતા. સરકારી ગુપ્તચર ખાતાને આશ્ચર્ય પમાડે એવી રીતે આ સ્વયં સેવકો સરકારની ડગલેડગલાની બાતમી મેળવતા, કલેક્ટર જેવા અમલદારની હિલચાલની તપાસ રાખતાં જરાય ડરતા નહિ, નાનામાં નાનું અને હલકામાં હલકું દેખાતું કામ કરવાના હુકમ ઉઠાવતાં તેમને નાનમ લાગતી નહોતી. એક રાનીપરજ સ્વયંસેવકે તો આવી સેવા કરતાં છાવણીમાં જ મૃત્યુભેટ કીધી. સરદારના આ તંત્રે સરકારના મોટા મોટા પગારદારોથી ચાલતા અમલદારના તંત્રને પાંગળું કરી મૂક્યું હતું.

અને સૌની મોખરે સરદાર ! આઠે પહોર કાલે શું કરવું તેની ચિંતા કરતો, કાળામાં કાળાં વાદળ આવશે તો તેને અમુક રીતે પહોંચી વળશું એવા ઘાટ ધડતો, પકડવાનો હુકમ કાલે આવશે એમ માની આજથી તેની તૈયારી રાખતો, હજાર હુકમ કાઢતો, અહીં આશ્વાસન દેતો, પણે હસાવતો, અહીં ઠપકો આપતો, પણે અમલદારને ઉઘાડા પાડતો, પોતાના જ મનાઈહુકમને પરિણામે રોજ પાંચ પાંચ સાતસાત ભાષણો કરવાની સજા સુખે ભાગવતો, ‘નિર્ભય તો છું, છતાં અત્યારે કાંટાની પથારી ઉપર સૂતેલો છું, કારણ તમે ભોળા છો,' એમ કહી સ્થાનેસ્થાને સૌને ચેતવતો, સર્વવ્યાપી સરદાર સૌ કોઈ નું આકર્ષણ કરે તેમાં નવાઈ શી ?

અને એ સૌના કરતાં વધારે આશ્ચર્યજનક હતી બારડોલીની બહેનોની જાગૃતિ. આ બહેનોએ પ્રેક્ષકોનાં આટલાં ધાડાં કદી જોયાં નહોતાં. આ બહેનોએ કદી સ્વપ્ને પણ એવો ખ્યાલ નહોતો રાખ્યો કે તેમનાં પરાક્રમ જોવાને માટે આખો દેશ બારડોલીમાં ઊલટશે. પણ એથી સાવ અક્ષુબ્ધ, સૌને નિર્મળ, સરળ ભાવે મળતી અને જવાબ આપતી, દિવસેદિવસે ચડતી જતી ત્રાસની ભરતીમાં ઉલ્લાસ માનતી, ઘરમાં પોતાના પુરુષોને હિંમત આપતી, આખો દિવસ ઘરમાં પુરાઈ રહી બાળબચ્ચાં અને ઢોરની સંભાળ રાખી, રાત્રે સરદારની સભાઓમાં ઊભરાતી એ વીરાંગનાઓને જોઈને કોને આશ્ચર્ય ન થાય ! અને એ અભણ બહેનોમાં તો વળી કવયિત્રીઓ જાગી હતી. કબીરને નામે ચાલતા ભજનની એકાદ કડી લઈને

૧૫૬