પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


અંતે લડત ચલાવવામાં લોકો કેટલી ખામોશી રાખી રહ્યા હતા, સામાન્ય ખેડૂતો પણ કેટલું તેજ બતાવી રહ્યા હતા તેનાં એકબે ચિત્રો આપી આ લંબાયેલું પ્રકરણ પૂરું કરીશ.

સરભોણ ગામમાં પોણોસો વરસના એક પેન્શનર દેશાઈ જેમણે બિચારાએ સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરી નહોતી તેમને દબાવવાને માટે નવા જપ્તીદારસાહેબે તેમના બારણે રાતદિવસનો ઘેરો ઘલાવ્યો. આગલે બારણે બંદુકવાળો પોલીસ અને પાછલે બારણે બે પઠાણો ! અમે ત્યાં પહોંચ્યા ત્યારે ૧૫ કલાકનો એ પહેરો થઈ ગયો હતો. આગલી રાત્રે બેઅઢી વાગ્યાથી શરૂ થયો હતો. સામાન્ય રીતે ઘરમાં ભરાઈ રહેતાં છતાં સભાઓને માટે, હાજતોને માટે, માણસો બહાર નીકળતા. અહીં આવી રીતે બહાર નીકળવાનું બને કે તુરત જ ઘરમાં જપ્તી લઈ જવી એવા ઈરાદાથી ૨૪ કલાકનો ઘેરો ઘાલ્યો હતો, એટલે જપ્તીમાંથી બચવું હોય તો પિસાબપાણીની હાજતો પણ ઘરમાં કરવી, ઢોરોને પણ પાણી પાવાનાં સાંસાં ભોગવવાં એવું થઈ પડ્યું હતું. અને આ ‘ઘેરો’ તે કોની સામે ! એક પોણોસો વર્ષના પેન્શનર અને તેમની સ્ત્રી — ઘરમાં બે જ જીવ — એમની સામે. આ હેવાનિયતભરેલો ઘેરો બીજે જ દિવસે ‘ઉપરના’ હુકમથી ઉઠાવી લેવામાં આવ્યો હતો, પણ અમે ગયા ત્યારે તો ડોસો ડોસી બંને પ્રસન્નતાથી ઘેરા સામે ઝૂઝી રહ્યાં હતાં. મેડીની બારીએ બેસી ડોસી માળા જપતાં હતાં. વલ્લભભાઈ એ પૂછ્યું: ‘કેમ માજી ! ગભરાતાં નથી ના ?’ ‘ના, ભાઈ, તમારો આશરો છે ને !’ વલ્લભભાઈએ કહ્યું : ‘મારો નહિં, રામજીનો આશરો.’ કોઈએ પૂછ્યું : ‘પઠાણપોલીસ પડ્યા છે તે ?’ માજી કહે : ‘ભલે પડ્યા. એ ન આવ્યા હોત તો સરદારનાં પગલાં આપણે ઘેર કયે દિવસે થવાનાં હતાં !’

એકે તિરસ્કારનું કે ક્રોધનું વચન નહોતું, અધીરાઈ નહોતી; બીજાઓને થતા ક્રોધને પણ શમાવી દે એટલી માજીની શાંતિ હતી.

આ અરસામાં હું એક દિવસ બારડોલી ગયો ત્યારે રસ્તામાં રાયમ ગામના એક ખેડૂત ગોસાંઈભાઈ મોં મલકાવતા ગાડું જોડી

૧૫૮