પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 જેવાથી બચજો, તેની જમીન પડતર રહેવા દેજો. ખેડૂતના પેટ ઉપર પગ મૂકીને સરદારો થયા છે તેવાને જમીન શા સારુ ખેડી આપવી ? એની જમીનમાં ખેડૂતબચ્ચો કદી પગ ન મૂકે.’

બહિષ્કારને ક્યાંક ક્યાંક વધારે પડતી હદ સુધી લઈ જવાના દાખલા પણ બનતા હતા. એવું જલદ હથિયાર હાથમાં આવે અને એનો કદી દુરુપયેાગ થાય જ નહિ એવું તો નહોતું જ. પણ જ્યાં જ્યાં એનો દુરુપયેાગ થવાની ખબર આવતી ત્યાં શ્રી. વલ્લભભાઈ પહોંચી જતા અને ઘટતું કરતા. આકરું યુદ્ધ ચાલતું હોય ત્યારે આથી વિશેષ તો શું બની શકે ? બહિષ્કારમાં કઈ વસ્તુ આવે અને કઈ વસ્તુ ન આવે એ વિષે શ્રી, વલ્લભભાઈ જેટલી ચોખવટ થઈ શકે તેટલી કર્યા જ કરતા. તેમનાં અનેક ભાષણોમાંના બહિષ્કાર વિષેના ઉદ્‌ગારનો સાર મારી ભાષામાં આપું તો આ છે :

‘બહિષ્કાર કેમ ન કરીએ ? સરકાર બહિષ્કાર નથી કરતી ? સરકારની અનીતિમાં શામેલ ન થાય એ અમલદારને સરકાર પાણીચું આપે છે. જે મામલતદાર એમના કહ્યા પ્રમાણે નિર્લજ્જ કામો ન કરે તેને પાણીચું આપે છે, અથવા બદલે છે. તો તમે શા સારૂ બહિષ્કાર ન કરો ? તમે કાંઈ કોઈની રોજી નથી છીનવી લેતા; તમે તો માત્ર એની સાથે સંબંધ છોડો છો, એની સેવા લેવી બંધ કરો છો. એ બહિષ્કાર કરવાનો પ્રત્યેક સમાજનો જન્મસિદ્ધ હક છે. કોઈની કનડગત કરવાનું એમાં આવતું નથી. આપણે કોઈનું પાણી, દુધ, ખાવાપીવાનાં સાધનો, મંદિર, માંદગી વેળાની સેવા, સ્મશાને પહોંચાડવાની સેવા બંધ નથી કરી શકતા; એવું કરીએ તો માણસજાતમાંથી મટી જઈએ. આપણે બહિષ્કાર કરીને માણસ મટવું નથી, સામાને માણસ બનાવવો છે. બહિષ્કાર કેવળ આત્મરક્ષણાર્થે છે. જેમ નાના ઊગતા છેાડને વાડની જરૂર છે, ઊધઈ ન લાગે તે ખાતર ગેરુ અથવા ડામરની જરૂર છે તેમ સ્વતંત્રતાનો સ્વાદ ચાખી સ્વતંત્ર રીતે પગ ઉપર ઊભા રહેતાં હમણાં જ શીખેલા સમાજને સમાજદ્રોહીઓમાંથી બચવા માટે બહિષ્કારની જરૂર છે.’

૧૭૪