પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


થઈ રહ્યું છે તેમણે વાંઝ ખાતે ગંજાવર પરિષદ ભરી વલ્લભભાઈને લગભગ અઢી હજાર રૂપિયા આપ્યા, અને સાથે સાથે જાહેર કર્યું કે મહેસૂલ તો અમે પરાણે ભર્યું છે કારણ કે તે વેળા અમે સત્યાગ્રહ માટે તૈયાર નહોતા.

નાગરિકોનાં દાન પણ નોંધવાજેવાં હતાં. ઉપર કહ્યાં તે તો બધાં સ્વેચ્છાથી આવતાં દાનો હતાં, પણ કેટલાક દાતાઓને શ્રી. મણિલાલ કોઠારી જેવા ભિક્ષુના આગ્રહની જરૂર હતી. ભાઈ મણિલાલે મુંબઈના બૅરિસ્ટરો અને ઍડવોકેટો પાસે મોટી રકમો કઢાવી, શ્રી. ભૂલાભાઈ જેવાને રસ લેતા કર્યા. અને મણિલાલની ભીખ એટલે સર્વભક્ષી, તેમને બધું ખપે. ‘સારો ચેક ન આપી શકો તો તમારી મોટરકાર આપો. કાર ન જ આપી દઈ શકો તો લડત ચાલે ત્યાં સુધી વાપરવા આપો,’ એમ કહેતા જાય અને ચેક અને કાર બંને લેતા જાય. એમના પ્રતાપે બારડોલીના કાર્યકર્તાઓને આખા તાલુકાનાં ગામેગામમાં જોઈએ ત્યારે ફરી વળવાને માટે ચાર મોટરકાર મળી રહી હતી. સત્યાગ્રહફાળાની રકમ જે મે મહિનામાં અપીલ કરવામાં આવી ત્યારે રૂ. ૧૦,૦૦૦ હતી તે જૂન મહિનાની આખર સુધીમાં રૂ. ૨,૦૦,૦૦૦ થઈ ને ઊભી રહી હતી.

અને લોકોના ઉત્સાહની ભરતી દમનનીતિની ભરતી સાથે વધતી જતી હતી.

ખાલસા નોટિસોની સંખ્યા ૫,૦૦૦થી વધી ગઈ હતી. હવે ખાલસા થયેલી જમીન ચોરીછૂપીથી વેચવાને બદલે જાહેર લિલામથી વેચવાના ઢોંગ થવા લાગ્યા. ઈસમાઈલ ગબા નામના મુસલમાન સત્યાગ્રહી જે અનેક સતામણીની સામે આજ સુધી અડગ ઉભા હતા તેમના ખાતાની ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતની અને રૂ. ૧,૨૦૦નું મહેસૂલ ભરતી જમીન વેચવાનાં જાહેરનામાં નીકળ્યાં. બીજી રૂ. ૨૫,૦૦૦ ની કિંમતની જમીન વેચવાનાં પણ જાહેરનામાં નીકળ્યાં. પણ તેથી કાંઈ કોઈ ડગે એમ નહોતું. ગામેગામના લોકાએ ઠરાવ કર્યા કે આવી રીતે જમીન રાખનારની જમીન કોઈ એ ખેડવી નહિ, તેમને મજૂરીની કે બીજી

૧૮૦