પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ મું
‘બારડોલી દિન’
 


પકડવામાં આવ્યો. આ લોકોને પોલીસ કાયદાની એક કલમ પ્રમાણે પકડવામાં આવ્યા હતા. જે કલમ પ્રમાણે એમને પકડવામાં આવ્યા હતા તે કલમ તો સાર્વજનિક સ્થળોએ રખડતા રઝળતા બદમાશોને માટેની હતી. પણ આ જુવાનોની ખુમારી કલેક્ટર જેવો અમલદાર કેમ ખમી શકે ?

તેમનો કેસ ચાલ્યો, એ વળી વધારે હાસ્યજનક હતો.

કોર્ટ રાત્રે ભરાઈ હતી — બદમાશોને કેમ એક દિવસ પણ છૂટા રાખી શકાય ? ફોજદારને બિચારાને જેમતેમ સાહેદો શેાધવા પડ્યા. આમાંનો એક તો પીધેલો હતો. તેણે કેવી જુબાની આપી હતી તેની કલ્પના સહેજે થઈ શકશે. તેને દારૂના ઘેનમાં બિચારાને નહોતું તારીખનું ભાન, નહોતું બોલે તેનું ભાન, નહોતું તેની સામે કોણ ઊભેલા તેનું ભાન. તેની જુબાની સુધારીને લખી લેવી પડતી હતી. ત્રણે જુવાનોને ૫૦ રૂપિયા દંડ નહિ તો બે માસની સજા થઈ. તેમના ગુના મૅજિસ્ટ્રેટના શબ્દોમાં આ હતા : ‘આ આરોપી બારડોલીમાં કલેક્ટરના બંગલા આગળ કલેક્ટરનો મુકામ હતો ત્યારે રઝળતો અને જતા આવતાને અટકાવ કરતો માલમ પડ્યો હતો.’ કોનો અટકાવ થયો હતો ? કેવો અટકાવ થયો હતો ? તેના પુરાવાની કશી જરૂર નહોતી. ત્રણે જણાએ જેલમાં જવાનું પસંદ કર્યું. બીજે દિવસે સંખ્યાબંધ સ્વયંસેવકો જેલ જવાની આ અનાયાસે લાધેલી તક લેવાને ભેગા થયા, પણ તેમને કોઈએ પકડ્યા નહિ !

બીજે દિવસે પેલા ટંટાફિસાદને માટે પકડેલા વાંકાનેરના ખેડૂતભાઈઓના કેસનો ચુકાદો હતો. આરોપ એવો હતો કે, ૧૯ જણાએ ડેપ્યુટી કલેક્ટરનો સામાન લઈને જતાં ત્રણ ગાડાં અટકાવેલાં, અને ગાડાંવાળાને આગળ જતાં રોક્યા હતા. મુખ્ય પુરાવો એક એવા માણસનો હતો કે જેની પાસે ઝાંખું બળતું એક ફાનસ હતું જેથી તે બધા આરોપીને એાળખી શક્યો હતો. પુરાવો એટલો તો નબળો, અથવા નહિ જેવો હતો કે પાંચને ઓળખાવી ન શકવાને લીધે આરોપ મેલ્યા વિના છોડી દેવા પડ્યા હતા અને ત્રણને પાકા પુરાવા ન હોવાથી નિર્દોષ ઠરાવી છોડી

૧૮૩