પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ મું
‘બારડોલી દિન’
 

 ‘અને જમીન ખેડશો કે પડતર રહેવા દેશો ? ખેડશો તો સરકાર ખેડવા દેશે અને પછી પાક ઉઠાવી લેશે.’

‘પાક કરીએ શા સારું ? શણ બી નહિ નાંખીએ ? શણ થઈ એટલે એને ખેતરમાં જ સુવાડી દેવાની એટલે એના જેવું ખાતર થશે.’

અંતે અમે છુટા પડ્યા. છુટા પડતાં પેલાએ ઉપસંહાર કરતાં કહ્યું: ‘લડત તો ભગવાને મોકલી છે. અમારામાંના ઘણા ચાના બંધાણી હતા. ભેંસો ગઈ એટલે હવે ચાને માટે દૂધ ક્યાંથી લાવે ? છતાં કેટલાક બકરીના દૂધે ચલાવે છે, અને એકબે ઘેર ગાય છે. પણ એ ચા જાય એ જ સારી. ધારો કે આ લડતમાં હાર્યા તોયે ખોવાનું નથી. એ કાંઈ છેલ્લી લડત થોડી છે ? આવતી લડત વધારે બંદોબસ્ત કરીને વધારે સાવચેતીથી લડશું. આ લડતમાં શીખેલા પાઠ થોડા ભુલાવાના છે ?’

‘બારડોલી દિન’ આવ્યો ત્યારે લોકો આ શ્રદ્ધાથી, આ અચળ વિશ્વાસથી સરદાર જેમ આગળ ધપાવે તેમ ધપ્યા જતા હતા. તેમને નહોતી પડી સરકારી જાહેરાતની, ખાલસા નોટિસોની કે જેલની. સરદાર કહે કે હળ મૂકો જમીનમાં તો હળ મૂકવાં; સરદાર કહે, છોડો તાલુકો તો તાલુકો છોડવો !