પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૨૩
આરોપી ન્યાયાધીશ બન્યા
“સરકારે મૂરખ માણસની વાત માની છે અને હવે સાપે છછૂંદર ગળી છે. હવે છોડાતી નથી, ગળાતી નથી.”

ખેડા સત્યાગ્રહના દિવસોમાં સરકારનું ખબરખાતું ખુલ્યું નહોતું. બોરસદ સત્યાગ્રહ વખતે એ ખાતાએ દર્શન દીધાં, અને લડત પૂરી થવા આવી ત્યારે ‘બૉંબે ક્રોનિકલ’ના છ સ્તંભ જેટલો સરકારનો બચાવ બહાર પાડેલો. એનો યોગ્ય ઉત્તર આપવામાં આવેલો અને એક અઠવાડિયામાં સર લેસ્લી વિલ્સને બે લાખ ચાળીસ હજારનો હેડિયાવેરો રદ કરેલો. પાંચ મહિના સુધી બારડોલી સત્યાગ્રહ પ્રકાશન ખાતાના, ‘નવજીવન’ના અને ‘યંગ ઇન્ડિયા’ના આરોપો સાંભળી સાંભળી રીઢા થઈ સરકારે પોતાનું ખબરખાતું ચાલું કીધું. બલ્કે પઠાણોએ એ ખાતું ચાલુ કરાવ્યું એમ કહીએ તો ચાલે. પઠાણોની ગેરવર્તણૂકનું વર્ણન મેં ‘યંગ ઇન્ડિયા’માં આપ્યું હતું તેના રદિયા આપવાનો સરકારી ખબરખાતાના વડાએ પ્રયત્ન કર્યો. આ પ્રયત્નમાં સરકારી નોકરો ઉપરના આરોપોની સ્વતંત્ર તપાસ કરવાને બદલે ગુનેગારને પોતાની પાસે બોલાવી, તેનો એકતરફી જવાબ સાંભળી, તોહોમત મૂકનારને હાંકી કાઢવાનો આ રાજ્યનો સનાતન રિવાજ જયાંત્યાં જોવામાં આવતો હતો. લોકોની ફરિયાદ ખરી કે ખોટી તે તપાસવા સ્વતંત્ર પંચ લોકો માગે તે સરકાર કેમ આપે ? ગુનેગાર અમલદારો એવાં પંચ કેમ આપવા દે ? અને એવાં પંચ આપે તો પછી ખરે ટાંકણે મદદ કરનારા હૈયાફૂટા અમલદારો શી રીતે મળે ?

૧૮૮