એવા પુરુષને સાપરાધ પ્રવેશની સજા થઈ. તેમનો ગુનો એટલો જ હતો કે મામલતદારને હેરાન કરવાના કે રંજાડવાના કશા ઇરાદા વિના મામલતદારના કમ્પાઉંડમાં તેમણે પ્રવેશ કર્યો. ૧૮૬ મી કલમના ગુના માટે ધમકીનું કાંઈ સ્પષ્ટ કર્યું હોવું જોઈએ. પરંતુ આવા કૃત્યના કશા પુરાવા વિના શ્રી. રવિશંકર, ચિનાઈ તથા સન્મુખલાલને એ કલમ મુજબ ગુનેગાર ગણી સજા કરવામાં આવી. શ્રી. ચિનાઈના મુકદ્દમાનું ફારસ તો શ્રી. રવિશંકરનાને પણ ભુલાવે એવું હતું. ન્યાયાધીશના ચુકાદાની ભાષા વાપરીએ તો, આરોપીએ એટલું જ કરેલું જણાય કે ‘મામલતદારની હાજરીમાં ખુશાલ નાથાને મહેસૂલ નહિ ભરવાનું તેમણે સમજાવ્યું, અને ખુશાલ નાથાને જાહેરનામું ફેંકી દેવાનું કહ્યું.’ આ ખુશાલ નાથાને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા નહોતા, પણ ફરિયાદ પક્ષના બે સાક્ષીઓ (સરકારી નોકરો) એ શ્રી. ચિનાઈએ કેવી રીતે ખુશાલ નાથાને સમજાવ્યું તેનું આ વર્ણન આપ્યું હતું : “ચિનાઈએ ખુશાલને કહ્યું કે તારે મહેસૂલ ભરવું હોય તો ભરી દે અગર ન ભરવું હોય તો ‘ના’ કહી દે.” આને તે ન ભરવાનું સમજાવ્યું કહેવાય કે ભરવાનું સમજાવ્યું કહેવાય ? પણ પીનલ કોડની ૧૮૬ મી કલમ મુજબ ગુનો થવા માટે મેજિસ્ટ્રેટ માટે આટલા જ શબ્દ પૂરતા હતા !
ભાઈશ્રી સન્મુખલાલની ઉપરના કેસનું વર્ણન વિસ્તારથી સોળમા પ્રકરણમાં આપવામાં આવ્યું છે. અહી તો આ કેસનો કાયદાની દૃષ્ટિએ જ વિચાર કરશું. તલાટી ફરિયાદી હતો અને પટાવાળા ફરિયાદપક્ષના સાક્ષીઓ હતા. જપ્તીઅમલદાર જેમની જ જુબાની કાંઈ પણ ઉપયોગની થઈ પડત તેમને સાક્ષી તરીકે બિલકુલ બોલાવવામાં જ આવ્યા નહોતા. ફરિયાદીએ કહ્યું : “સન્મુખલાલ આવ્યા અને તેમણે કહ્યું, ‘તમે જપ્તી કરો છો. પણ કાલે સવારે તેનું પરિણામ શું આવે છે તે જોઈ લેજો.’” એક સાક્ષીએ પ્રોસીક્યુટરના ખુલ્લામાં ખુલ્લા ઇશારા પછી જુબાનીમાં કહ્યું કે સામાજિક બહિષ્કારની કાંઈક ધમકી આપવામાં આવી હતી. ચુકાદાની ભાષા વાપરીએ તો “પટાવાળા,