પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


જુવાર આપો કે ઓછી ?’ મરદોએ કહ્યું: ‘માપસર.’ બહેનો ઘરમાં બેઠી બેઠી અમારી વાત સાંભળતી હતી. એક બહેન પોકાર કરી ઊઠી : ‘એમની સામે તો સાચું બોલો ! ભાઈ, અમારું માપ ઓછું હોય છે. દૂબળા અમને છેતરે છે, અમે તેમને છેતરીએ છીએ. આવાં પાપ કરીએ એટલે અમારી દશા આવી થઈ ગઈ છે.’ આ પછી કરજની વાત આવી. કરજ કબૂલ કરતાં લોકોને શરમ થતી હતી. એટલે એક બહેને એક ભાઈને ખખડાવીને કહ્યું: ‘સાચી વાત કહેતાં શરમ શેની ? શરમમાં ને શરમમાં તો પાયમાલ થઈ ગયા.’

આવી બહેનોને પ્રથમથી જ તૈયાર કરવા માંડીને સરદારે પોતાની લડતનો પાયો પાકો કર્યો હતો. જેમજેમ લડત વધારે આકરી થતી જતી હતી તેમતેમ બહેનો વધારે બળવાન થતી જતી હતી. જપ્તીની સામે તો તેઓ થઈ, પણ જેલ વખતે કેમ થશે એની કોઈને કલ્પના નહોતી. ભાઈ સન્મુખલાલનાં માતાને પોતાના પુત્રને જેલમાં પ્રસન્નતાથી વળાવતાં જોઈને સૈાને આનંદ થતો હતો. પણ જ્યારે વાંકાનેરના ૧૧ વીરોને જેલમાં જવાનું આવ્યું તે દિવસે તેમાંના કેટલાકની પત્નીઓ તેમને અદાલતમાં અને સ્ટેશન સુધી વળાવવાને માટે આવી હતી. તેમના કોઈનાં મોં ઉપર શોક કે દુ:ખની છાયા નહોતી. આવી સ્ત્રીઓના આશીર્વાદ લઈને જે જેલ સિધાવે તે કદી માફી માગીને પાછો આવે ? બારડોલીમાં જેલ જનારાઓમાં એક પણ માણસ આવા બોદો નીકળ્યો નહોતો.

આ શૂરતાનો ચેપ નાનાં મોટાં સૌને લાગ્યો હતો. મલેકપોર ગામમાં શ્રી. વલ્લભભાઈને બહેનો તરફથી માનપત્ર આપનારી એક ચૌદ વર્ષની બાળાએ પોતાની સ્વાભાવિક વાણીમાં પામરને પુરુષ બનાવે એવું ભાષણ કર્યું હતું : ‘અમારા વિભાગપતિ જેલજાત્રાએ ગયા તે માટે અમે જોકે દિલગીર છીએ તોપણ અમારું ગામ મક્કમ છે. અમારી બહેનોની આ નાની ભેટ સ્વીકારશો. અમારા ગામમાં સરકારી અમલદારો આવીને ખાલસા નોટિસ કાઢી ગયા છે, એથી અમે ખુશી છીએ. મેં મારા

૨૦૪