પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫ મું
બારડોલીની વીરાંગનાઓ
 


પિતાજીને કહ્યું છે કે તમે ખુશીથી જેલ જજો. અમે બંને બહેનો ખેતી કરશું.’

લડતના છેક આખરના દિવસોમાં એક બહેનની બહાદુરી આફરીન પોકરાવે એવી જોવામાં આવી હતી. ભાઈ ભવાન હીરા નામનો નાની ફરોદનો ગરીબ ગાવડી જેવો ખેડૂત. તેના ઉપર જપ્તીદારને અટકાવવા બારણા બંધ કરવાનો અને તેને ઈજા પહોંચાડવાનો આરોપ હતો. એની સ્ત્રી જાણતી હતી કે પોતાનો પતિ ભલો માણસ છે અને જેલમાં જતાં ડરી જાય એવો છે એમ માનીને તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો, કારણ જો ગુનો કોઈએ કર્યો હોય તો તેણે પોતે ગુનો કર્યો હતો. બારણાં પોતે ઢાંક્યાં હતાં એમ તેણે પોકારી પોકારીને પોલીસને કહ્યું, અને જ્યારે તેને ન પકડવામાં આવી ત્યારે તે ધણીને લઈને તેની સાથે અદાલતમાં ગઈ. ભાઈ ભવાન હીરાને છ માસની સખત કેદની સજા સંભળાવવામાં આવી. ભાઈ ભવાનને સેંકડો માણસોએ વિદાય દીધી, પણ તેની વીરાંગનાની વિદાય તો લોકોની સ્મૃતિમાં ઘણા કાળને માટે કાયમ રહેશે:

“જોજો હો; ઢીલો બોલ ન નીકળે. મૅજિસ્ટ્રેટને કહેજો કે તારાથી દેવાય તેટલું દુ:ખ દેજે. મારી સામું કે છોકરાં સામે જોવાનું ન હોય. હિંમત રાખજો, ને ખખડાવીને જવાબ દેજો. હું કરું ? મારા ઉપર કેસ નહિ માંડ્યો, નહિ તો બતાવી દેતે. મણ દળવા આપે તો દોઢ મણ દળીને ફેંકી દેતે. મારા ધણી જેલમાં જવા તો તિયાર જ છે. પણ જરા ઠંડા: સભાવના એટલે બોલતાં ની આવડે. આવે વખતે તો એવા જવાબ દેવા જોયે કે હરકારમાં હોય તેટલા બધાને યાદ રહી જય.”

ભાઈ ભવાનને વળાવવા આવી તે દિવસે એ બહેનના શ્રી. વલ્લભભાઈ આગળ ઉચ્ચારેલા ઉદ્‌ગાર મેં અક્ષરેઅક્ષર આપ્યા છે. હું તે વેળા હાજર હતો. ભવાન જેલમાં ગયા પછી આનંદથી ઊભરાતી આ બાઈ સરદાર પાસે આવી, પોતાનાં સગાંવહાલાં તરફથી ભવાનને ૯ રૂપિયા ભેટના મળ્યા હતા તે તેણે સરદારને ચરણે ધર્યા અને પોતાને ધનભાગ્ય માનવા લાગી. આવી સ્ત્રીનો પતિ ગમે તેટલો મોળો હોય તોયે આટલા

૨૦૫