પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

કાયદો થાય ત્યાં સુધી એવાં રિવિઝન સેટલમેંટ મુજબ વધારેલો ધારો ન લેવાની સરકારી અમલદારોને સરકાર ભલામણ કરે. ’

આ ઠરાવ પણ ધારાસભામાં ૫૨ વિરુદ્ધ ૨૯ મતે પસાર થયો. એ વાતને એક વર્ષ થયું. પેલો કાયદો તો થાય ત્યારે ખરો, પણ ધારાસભાના ઉપર કહેલા બબે ઠરાવો છતાં સરકાર ઠંડે પેટે અનેક તાલુકાઓનું મહેસૂલ વધાર્યે ગઈ. પેલી મહેસૂલઆકારણીના નિયમો સૂચવનારી કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો, એ રિપોર્ટની જે ગતિ થઈ તેનો ઇતિહાસ હિંદુસ્તાનના જમીનમહેસૂલના કાળા ઇતિહાસમાં એક વધુ પ્રકરણ ઉમેરે છે. એ કમિટીમાં ૨૨ સભ્યો હતા. તેમાં ત્રણ વિભાગના કમિશનરો અને બીજા મહેસૂલખાતાના કેટલાક અમલદારોનું એક સપ્તક હતું. એ સપ્તકે કમિટીના બીજા સભ્યોથી જુદા પડી પોતાનો ભિન્નમત રજૂ કર્યો. સરકારે પોતાના ઠરાવમાં આ સપ્તકનો ભિન્નમત સ્વીકારીને જણાવ્યું કે મહેસૂલ ગણોતનો જ આધાર રાખીને ઠરાવવું જોઈએ ! કમિટીએ વધુમતે ઠરાવ્યું હતું કે ખેડૂતને જે ચોખ્ખો નફો થાય તેના ૨૫ ટકા જેટલો સરકારધારો હોવો જોઈએ, પણ સરકારે પેલા સપ્તકના મત સ્વીકારીને ઠરાવ્યું કે પ૦ ટકા જેટલો સરકારધારો લેવાની ‘ચાલુ’ પદ્ધતિને વળગી રહેવું જોઈએ ! કમિટીએ ભલામણ કરી હતી કે કોઈ પણ રિવિઝન કરવામાં આવે એટલે તેની તપાસ કરવાને માટે એક કાયમની ‘એડવાઈઝરી કમિટી’ (સલાહકાર સમિતિ) નિમાવી જોઈએ, તે ભલામણ પણ સરકાર ઘોળીને પી ગઈ ! કમિટીએ એક વ્યવહારુ અને નિર્દોષ રચના કરી હતી કે સેટલમેંટ અમલદારે તાલુકા લોકલ બોર્ડે નિમેલા ખેડૂતોના બે સભ્યોને પોતાની તપાસ દરમ્યાન મદદ માટે સાથે રાખવા. એ સૂચના પણ પેલા સપ્તકના અભિપ્રાય સાથે સંમત થઈને સરકારે ઉડાવી દીધી !

આમ જોઇંટ પાર્લામેંટરી કમિટીની ભલામણનો અમલ કરવાને માટે નિમાયેલી કમિટીની ભલામણો સરકાર ગળી ગઈ અને ચાલુ અનિષ્ટ પ્રથાને કાયમ રાખવાને માટે જ પેરવી કરી. આ

૧૪