લડત જેમ આકરી થતી જતી હતી તેમતેમ બારડોલી બહારના લોકો વધારે વધારે આકુળવ્યાકુળ થતા જતા હતા. જેમનું સરકાર આગળ કાંઈ પણ ચાલે એવું લાગતું હતું તેમણે તો સરકારની સાથે વાત કરવા માંડી હતી. તેઓ લોકોના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરતા હતા, પણ આ પ્રતિનિધિઓને તેમની વાતમાં ઘણીવાર જોર નહોતું લાગતું, તેમની વાતમાં દયા ઊભરાતી હતી, પણ જેમને માટે તેઓ આટલા દયાર્દ્ર થતા હતા તેમની ભૂખનું માપ તેમને ઓછું હોય એવું લાગતું હતું. આ ડર ગાંધીજીને લાગવાથી જ તેમણે ‘નવજીવન’ માં આ વચનો એ વિષ્ટિકારાને ઉદ્દેશીને લખ્યાં હતાં :
“કેટલાક શુભેચ્છક મિત્રો આ બાબતમાં વચ્ચે પડી રહ્યા છે એવા ગપગોળા સાંભળવામાં આવે છે. આમ વચ્ચે પડવાનો તેમને હક છે, કદાચ ફરજ પણ હોય. પણ એ મિત્રોએ લડતનું મહત્ત્વ સમજીને બધું કરવું જોઈએ. લડત નજીવી છે અથવા લોકો નબળા પડ્યા છે એમ માની તેમની દયાની ખાતર તેમણે વચ્ચે નથી પડવાનું. બારડોલીના લોકોની લડત શુદ્ધ ન્યાયની છે. તેમને મહેરબાની નથી જોઈતી, શુદ્ધ ન્યાય જ જોઈએ છે. તેઓ પોતે કહે છે તે સાચું જ માની લેવાનું કોઈને કહેતા નથી. તેઓ તો એક સ્વતંત્ર, ખુલ્લી, અદાલતની તપાસની માગણી કરે છે.