પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬મું
વિષ્ટિકારો
 


એક વિષ્ટિકારની એાળખ તો આપણે એક પ્રકરણમાં કરી ગયા. તેમણે ‘વધારા સાથેનું મહેસૂલ પૂરું ભરી દેવાનો’ મુદ્દો ઊભો કરીને લડતને લાભને બદલે નુકસાન પહોંચાડ્યું એ પણ જોઈ ગયા. તેમનો હેતુ શુભ હતો એ વિષે શંકા નથી જ, પણ ખેડૂતો શી વસ્તુ માટે આટલું કષ્ટ સહી રહ્યા છે તેનું મૂલ્ય તેઓ આંકી શક્યા નહિ, અને લડતનો કોઈ પણ રીતે અંત લાવવાનો તેમણે લોભ રાખ્યો.

પણ એમના ઉપરાંત બીજા ઘણા વિષ્ટિકારાએ પાછળથી આ બાબતમાં રસ લીધો, અને તે સૌને વિષે એટલું કહેવું ઘટે છે કે તેમણે જે પગલાં લીધાં તે પહેલાં લોકોના પ્રતિનિધિઓને તેઓ પૂછતા રહ્યા. તેઓ લોકોના વકીલ બન્યા એમ તો ન કહી શકાય, પણ લોકોનો કેસ વિવિધ દૃષ્ટિએ સરકાર આગળ રજૂ કરવા પેાતાથી બનતું બધું કર્યું. એ બધા જ જો એકવાર બારડોલીની મુલાકાત લઈ ગયા હોત અને પેાતાની આંખના, કાનના તથા બીજા સ્વાનુભવના પુરાવાના જોર ઉપર તેમણે પોતાની કાર્યરેખા આંકી હોત તો બહુ રૂડું થાત.

પણ તેમનામાં એક સજ્જને તેમ કરીને કાયમની કીર્તિ મેળવી. તેમણે પોતાની તપાસનાં પરિણામ દેશ આગળ એવી સચોટ અને સુંદર રીતે રજૂ કર્યા કે તેથી સહુ વિચાર કરતા થઈ ગયા, અને આખા દેશની આંખો બારડોલી તરફ અગાઉ કદી વળી હોય તે કરતાં વિશેષ પ્રમાણમાં વળી. આ પુરુષ બીજા કોઈ નહિ, પણ શ્રી કનૈયાલાલ મુનશી. તેઓ મુંબઈ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ધારાસભાના સભ્ય અને મુંબઈની હાઈકોર્ટના ઍડવોકેટ છે. તેમણે નામદાર ગવર્નર સાથે ચલાવેલા પત્રવ્યવહારનો નિર્દેશ અગાઉના પ્રકરણમાં હું કરી ગયો. આપણે જોઈ ગયા છીએ કે નામદાર ગવર્નર તરફથી તેમના કાગળોના જે જવાબ મળ્યા તે તેમના જેવા ચુસ્ત બંધારણવાદીને પણ સંતોષ આપી શકે એવા નહોતા. તેમણે નામદાર ગવર્નરની મુલાકાત લીધી, અને તે મુલાકાતથી પણ જ્યારે તેમને સંતોષ ન થયો ત્યારે તેમણે બારડોલી જઈ આવવાનો નિશ્ચય

૨૦૯