પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


કર્યો. જેથી વસ્તુસ્થિતિ તેઓ નજરે નિહાળે અને પોતાની કાર્યદિશા વધારે સારી રીતે નક્કી કરી શકે. તેમણે બારડોલીમાં આવીને ઘાણાં ગામની મુલાકાત લીધી, ઘણી સભામાં હાજરી આપી, ઘાણા લોકો — પુરુષો તેમજ સ્ત્રીઓ — સાથે વાતચીત કરી અને તેમની તપાસને પરિણામે, પોતે ચુસ્ત બંધારણવાદી હોઈ, “પોતાનો વિરોધ દર્શાવવાનો અતિશય ગંભીર પ્રકાર અખત્યાર કરવાની દુ:ખદાયક આવશ્યકતા ઊભી થયેલી” તેમને લાગી. ૧૭ મી જૂને ના. ગવર્નરને એક વીરતાભર્યો કાગળ તેમણે લખ્યો. તેમાં બારડોલીના લોકોની સ્થિતિનો તથા જે શાન્તિ અને ધીરજથી તેઓ દુઃખ સહન કરી રહ્યા હતા અને જેને લીધે તાલુકાના મહેસૂલી અમલદારો અપંગ થઈ પડ્યા હતા, તેનો તાદૃશ ચિતાર તેમણે આપ્યો. અહીં એટલું ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે શ્રી. મુનશીએ સરકારને અનેક કાગળો લખ્યા પછી જ, તથા તેમની ઓછામાં ઓછી અમુક ફરજ તો છે જ તેનું ભાન જાગૃત કરવા માટે પોતાથી બનતું કરી છૂટ્યા પછી જ બારડોલી આવવાનો નિશ્ચય કર્યો હતો; તેઓ સરદારના કે બારડોલીના લોકોની પ્રેરણાથી બારડોલી ગયા નહોતા; સાધારણ જનતામાં તો લડત માટેની તેમની સહાનુભૂતિ ઉપરઉપરની ગણાતી હતી; તેઓ રાજીનામું આપશે એવી કેટલાક તો આશા પણ રાખતા નહોતા; એટલે તેઓ સંપૂર્ણ તટસ્થતાથી બારડોલી આવ્યા હતા. પણ બારડોલી તાલુકાની મુલાકાતમાં તેમણે નહિ ધારેલી એવી વસ્તુઓ તેમને જોવાની મળી. પછી સરકારને તેમણે કાગળ લખ્યો તેનો મુખ્ય ઉદ્દેશ સરકારની આંખ ઉઘાડવાનો જ હતો. આ કાગળે સ્વાભાવિક રીતે જ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. આખા હિંદુસ્તાનનાં પત્રોમાં એ કાગળ છપાયો. લડતના ઇતિહાસમાં એક મહત્ત્વના પત્ર તરીકે એ પત્ર રહી જશે. એ કાગળમાં તેમણે જણાવ્યું :

“ત્યાં ૮૦,૦૦૦ મરદો, બૈરાં અને બાળકો સુસંગઠિત વિરોધ દાખવવાની ભીષ્મ ભાવનાથી કૃતનિશ્ચય થઈ ઊભેલાં છે. આપના જપ્તીઅમલદારને હજામ મળતો નથી ને તે સારુ તેને માઇલો સુધી રવડવું પડે છે ! આપના અમલદારની મોટર, જે કાદવમાં ખૂંચી ગઈ હતી તે

૨૧૦