પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬મું વિષ્ટિકારો


સર પુરુષોત્તમદાસે વિચાર કર્યો. પરંતુ તેમ કરતાં પહેલાં સત્યાગ્રહીઓની એાછામાં ઓછી માગણી શી છે તે નક્કી કરી લેવા તેઓ ગાંધીજીને સાબરમતી આશ્રમે મળવા ગયા, અને ત્યાં શ્રી. વલ્લભભાઈને પણ હાજર રહેવા વિનંતિ કરી. ગાંધીજીને મળ્યt પછી સર પુરુષેત્તમદાસ, શ્રી. મોદી તથા શ્રી લાલજી નારણજી સાથે ડેપ્યુટેશનના રૂપમાં નામદાર ગવર્નરને મળવા પૂના ગયા. નામદાર ગવર્નર સાથેની તથા સરકારી મેમ્બરો સાથેની વાતચીત કેવી નિરાશાજનક હતી તેની વાત સર પુરુષોત્તમદાસે આ લેખકને કરી છે. સર પુરષોત્તમદાસની અતિશય તીવ્ર ઈચ્છા હતી કે ગવર્નરસાહેબ શ્રી. વલ્લભભાઈને મસલત કરવા માટે નોતરે, જેથી ઘણી ગેરસમજની ચોખવટ થઈ જાય અને સમાધાન સત્ત્વર થઈ શકે. પણ શ્રી. વલભભાઈ જેવા ‘રેવોલ્યુશનરી’ (વિપ્લવવાદી)ને નામદાર ગવર્નર મસલત માટે નોતરે એ સૂચના જ ત્યાં હાજર રહેલા કેટલાક જબરદસ્તોને હળાહળ ઝેર સમી લાગતી હતી. ત્યાર પછી સર પુરુષોત્તમદાસની ના. ગવર્નર સાથે એક ખાનગી મુલાકાત થઈ. તેઓ સહાનુભૂતિવાળા જણાયા, પણ બધી જ વાતમાં સરકાર હાર ખાય એ વસ્તુ સ્વાભાવિક રીતે તેમને ગળે ઊતરે એમ નહોતું. ગવર્નરસાહેબનો ઓછામાં ઓછો એટલો આગ્રહ તો હતો જ કે ખેડૂતોએ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવું જોઈએ, અથવા છેવટે કોઈ ત્રાહિત વ્યક્તિને ત્યાં વધારો જેટલી રકમ અનામત મૂકવી જોઈએ, ત્યારપછી જ ફરી તપાસ આપવામાં આવે. મુંબઈ પાછા આવીને સર પુરુષોત્તમદાસ શ્રી. વલ્લભભાઈને મળ્યા અને મુલાકાતમાં બનેલી બધી હકીકત કહી સંભળાવી. બન્નેને લાગ્યું કે સરકાર અને સત્યાગ્રહીઓ વચ્ચે કાંઈ મેળ ખાય તેમ નથી.

ચેમ્બરમાં જે વધુ ચર્ચા થઈ તેને પરિણામે શ્રી. લાલજી નારણજીએ ધારાસભામાંથી પોતાની જગ્યાનું રાજીનામું આપ્યું, અને રાજીનામાના પોતાના કાગળમાં સ્પષ્ટ જણાવ્યું કે નિષ્પક્ષ તપાસની માગણી સ્વીકારાય નહિ ત્યાં સુધી વધારેલા દર પ્રમાણે મહેસૂલ ભરી દેવાની માગણી કરવી એ તદ્દન ખોટું છે.

૨૧૫