પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ મું
ઊંઘમાંથી જાગ્યા
 


કરીને તેના વેચાણના રૂ. ૩,૨૬૬-૩–૧ તે સભ્યોના ખાતામાં બાકી મહેસૂલ ખાતે જમા કરવામાં આવ્યા છે, એટલે હવે તેમને પોતપોતાની જમીન ખેડવાની છૂટ છે.” ખાતેદારો તે આ નોટિસથી ચકિત જ થયા, કારણ તેમને તો જીનના માલિકને જે કપાસ પોતે વેચેલા તેનાં પૂરાં નાણાં મળી ચૂક્યાં હતાં. આ જ પ્રમાણે વાંકાનેર તથા બીજાં ગામોના કેટલાક ખેડૂતોને નોટિસો મળી કે તમારું મહેસૂલ ભરાઈ ગયું છે, પ્રકાર એવો બનેલો કે બારડોલીના એક જીનના માલિક શ્રી. નારણજી દુર્લભે આ ખેડૂતોને કપાસ કૉટન સુપરિન્ટેન્ડન્ટ મારફત સૂરતના કોઈ બે વેપારીઓને વેચેલો. વેપારીઓ પાસેથી કૉટન સુપરિન્ટેન્ડન્ટ મારફત નાણાં નારણજી દુલભને મળે અને તે ખેડૂતોને આપી દે. પણ સરકારે તે કૉટન સુપરિન્ટેન્ડન્ટને ત્યાં રૂ. ૭૩,૦૦૦ ની એ રકમને રોકી ખેડૂતોની બાકી ખાતે જમા કરી લીધી. ચોખ્ખી રીતે નાણાં ગેરકાયદે ઉચાપત કરવાનો આ ગુનો ગણાય. વળી એ કાર્યમાં રહેલું મનસ્વીપણું અને ભયંકર અન્યાય તો બાજુએ રહ્યાં, પણ કયા ખેડૂતનો કેટલો કપાસ જીનના માલિકને ત્યાં વેચાયો છે તેની પણ સરકારે ખાતરી કરવાની તસ્દી લીધી નહોતી.

બીજી તરફથી લડતના નિષ્પક્ષ સાક્ષીઓ રોજ ને રોજ નવી અને સ્વતંત્ર તપાસમિતિ નીમવા માટે સરકારને દબાણ કરી રહ્યા હતા. વર્તમાનપત્રો પણ રોજરોજ બારડોલીનો વહીવટ જેમના હાથમાં હતો તે સ્થાનિક અમલદારોની દુષ્ટ રીતિઓ ઉઘાડી પાડી રહ્યાં હતાં, અને આખા હિંદુસ્તાનમાં લોકમતની અપૂર્વ જાગૃતિ થઈ રહી હતી.

જ્યાં જોઈએ ત્યાં પ્રચંડ સંભાઓ, ઊભરાતો ઉત્સાહ, આપણે જોઈ ગયા છીએ કે મુંબઈના યુવાનોએ સત્યાગ્રહ ફંડ માટે રૂા. ૨૫,૦૦૦ એકઠા કર્યા હતા. આ ઉપરાંત સભાઓ અને સાહિત્યપ્રચાર મારફત લડતની બાબતમાં લોકોને જ્ઞાનપૂર્વક રસ લેતા કરવામાં તેઓ સારી મદદ કરી રહ્યા હતા. સૂરત અને

અમદાવાદના યુવક સંઘો પણ પાછળ નહોતા પડ્યા. અમદાવાદના યુવકસંધે માંહોમાંહે જ ઉઘરાણું કરીને રૂા. ૧,૦૦૦ મોકલ્યા

૨૨૫