પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


હતા. ગામડાંમાં તમામ જ્ઞાતિના અને જાતિના લોકો હલમલી ઊઠ્યા હતા. બ્રાહ્મણવર્ગ જેમનું રૂઢિચુસ્તપણું સૌ જાણે છે અને જેઓ તમામ રાષ્ટ્રીય ચળવળો વિષે બેદરકાર હોય છે તેમણે પણ પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ કરીને લડતમાં પોતાનો ફાળો આપ્યો. જેમણે રાજીનામાં આપ્યાં તેમાંના ઘણાખરા તલાટીઓ બ્રાહ્મણો હતા. બારડોલીની નજીક જ આવેલા જલાલપુર તાલુકાના બ્રાહ્મણોએ બારડોલી સત્યાગ્રહના વિજયને અર્થે મહારુદ્રયજ્ઞ આરંભ્યો, અને તેની પૂર્ણાહુતિને દિવસે તેમાં હાજર રહેવા શ્રી. વલ્લભભાઈને નોતર્યા. અસ્પૃશ્યતા વિષેના જેમના અભિપ્રાય જાણીતા હતા અને જેઓ બ્રાહ્મણોના ઉપર ઘણીવાર પ્રહાર કરી ચૂકેલા હતા એવા સરદારને આ મહારુદ્રમાં નોતરવા, અને મહારુદ્રને અંગે થયેલી બધી આવક ભૂદેવોએ તેમને દાન કરવી એમાં લોકજાગૃતિની પરાકાષ્ટા દેખાતી હતી.

લોકોના ઉત્સાહનું પૂર સર્વત્ર વધ્યું જ જતું હતું. સૂરત જિલ્લા પરિષદનો સવિસ્તર ઉલ્લેખ આગલા પ્રકરણમાં થઈ ગયો છે. પછી ભરૂચમાં પરિષદ ભરાઈ, નડિયાદમાં ભરાઈ અને અમદાવાદમાં ભરાઈ. દરેક સ્થાને હજારો માણસોની હાજરી, હજારો રૂપિયાનાં ઉઘરાણાં. ભરૂચમાં શ્રી. નરીમાન પ્રમુખ અને નડિયાદ તથા અમદાવાદમાં શ્રી. ખાડીલકર અને કેલકર. આ ‘બહારના’ પ્રમુખો બહારના તાલુકામાં પણ બારડોલીના જેવી જ સ્થિતિની વાતો કરતા જણાતા હતા, અને સરદાર તો નિશ્ચિંત બની પોતાનાં ભાવી સ્વપ્નાં દરેક પરિષદમાં વધુ વધુ સ્પષ્ટતાથી પ્રગટ કરતા જતા હતા. નડિયાદમાં કહે : ‘પણ ઘઉં બી બને છે, જમીનમાં સડી ફાટી જાય છે અને તે ઉપર અઢળક પાક પાકે છે. બારડોલીને તેવું બિયાવું થવા હું કહી રહ્યો છું, ને તમારો પણ તેને અંગે ધર્મ ઊભો થશે ત્યારે તે જ બતાવીશ.’ ભરૂચમાં કહ્યું : ‘જો સરકારની દાનત જમીન પર હોય તો હું તેને ચેતવું છું કે આવતી મોસમે હું એક છેડેથી બીજે છેડે સળગાવીશ પણ એક પૈસો એમ ને એમ ન આપવા દઉં.’ અમદાવાદમાં કહ્યું : ‘તમને ગુમાન હશે કે આપણી પાસે રાવણ કરતાં વધારે સંપત્તિ છે.

૨૨૬