પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિકરાળ કળિકા
 


સવારની મસલત લગભગ ત્રણ કલાક ચાલી અને વાતચીત બહુ મીઠાશથી થઈ. ત્યારપછી ના. ગવર્નરને શ્રી વલ્લભભાઈ સાથે ખાનગી વાતચીત થઈ તેમાં ના. વાઈસરૉય પણ આ દુઃખદ પરિસ્થિતિનો સત્વર અંત આણવા આતુર છે એમ તેમણે જણાવ્યું. જે મુદ્દાઓ ગૌણ ગણાતા હતા, દાખલા તરીકે જમીન પાછી સોંપી દેવી, કેદીઓને છોડી દેવા વગેરે, તેના ઉપર કશો મતભેદ નહોતો. પણ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવાના મુખ્ય મુદ્દા ઉપર જ બધું અટકેલું લાગ્યું. રાવ બહાદુર ભીમભાઈ નાયકને ના. ગવર્નર સાથે બપોરે વાતચીત થઈ તેમાં એવું માલૂમ પડ્યું કે ગૌણ મુદ્દાઓની બાબતમાં પણ મુશ્કેલી હતી. દાખલા તરીકે સરકારને પ્રતિષ્ઠાનું ઝોડ વળગાડનારાઓએ ગવર્નરસાહેબને સમજાવ્યું લાગતું હતું કે ખાલસા જાહેર કરેલી જમીન ભલે પાછી અપાય પણ વેચેલી જમીન તો પાછી ન જ અપાય. એટલે જો કાંઈ ગેરસમજ થઈ હોય તો તે ટાળવા માટે શ્રી વલ્લભભાઈને ફરી બોલાવવા તેમણે ગવર્નરને સૂચના કરી. શ્રી. વલ્લભભાઈ ના. ગવર્નરને ફરી મળ્યા અને છેક રાત પડી ત્યાં સુધી વાત થઈ, પરંતુ ના. ગવર્નર વધારેલું મહેસૂલ ખેડૂતો પ્રથમ ભરી દે અથવા સત્યાગ્રહીઓ તરફથી કોઈ ત્રાહિત માણસ વધારા જેટલી રકમ અનામત તરીકે મૂકે એ બાબતમાં બહુ જ મક્કમ જણાયા. બીજા મુદ્દાઓ ઉપર પણ મુશ્કેલી હોય એમ જણાયું, અને સમાધાન શક્ય ન લાગ્યું એટલે શ્રી વલ્લભભાઈ એ ના. ગવર્નરની રજા લીધી અને વિનંતિ કરી કે સરકારને જે શરતો કબૂલ હોય તે લખી મોકલે એટલે પોતાના સાથીઓ સાથે મસલત કરીને તેને જવાબ તેઓ લખી મોકલશે. આવા સમાધાનની આવશ્યક શરતો સરકારે નીચે પ્રમાણે જણાવી :

૧. આખું મહેસૂલ એકદમ ભરી દેવામાં આવે, અથવા જૂના અને નવા મહેસૂલના તફાવતની રકમ ખેડૂતોના તરફથી કોઈ પણ વ્યક્તિ સરકારી તીજોરીમાં અનામત મૂકે.
૨. જમીનમહેસૂલ નહિ ભરવાની ચળવળ એકદમ બંધ કરવામાં આવે.
૨૩૩