પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯ મું
વિકરાળ કાળિકા
 


અન્યાયી તો સરકાર તરફથી બહાર પડેલી યાદીમાં જણાવ્યા પ્રમાણે આખા કેસની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરવા સરકાર તૈયાર છે’ — ‘પણ સરકારનું માગતું આખું મહેસૂલ ભરાઈ જવું જોઈએ અને ઉપાડેલી લડત પૂરેપૂરી બંધ થઈ જવી જોઈએ, ત્યારપછી જ એ બને. આ પ્રમાણે પોતાની શરતો પ્રગટ કરીને ધારાસભાના જે સભ્યો બારડોલીના લોકોના પ્રતિનિધિઓ હતા તેમને તેઓ સાહેબે આ પ્રમાણે ડરામણું દેખાડ્યું :

“પરંતુ એટલું સ્પષ્ટ કરવાની મારી ફરજ છે કે તે આ શરતોનો સ્વીકાર નહિ થાય અને તેને પરિણામે સમાધાની નહિ થાય તો કાયદાનો સંપૂર્ણ અમલ કરવા માટે પોતાને જે ઇષ્ટ અને આવશ્યક જણાશે તે પગલાં સરકાર લેશે, અને સરકારની કાયદેસરની સત્તાનું સર્વ રીતે પાલન થયેલું જોવા માટે પોતાના તમામ બળનો તે ઉપયોગ કરશે.”

ત્યારપછી સવિનય ભંગના ગેરકાયદેપણા વિષે થોડાંક સર્વવિદિત વચનો તેઓએ ઉચ્ચાર્યાં, અને રખેને પોતાની ધમકીનો અનર્થ થાય અને તેને સમાધાનીના આધારરૂપ ગણી લેવામાં આવે એટલા ખાતર તેમણે પાછું સાફ જણાવ્યું :

“સરકારના ચોકસ અને છેવટના નિર્ણય તરીકે આ વસ્તુઓ મૂકવામાં આવી છે. સરકારે ચોકસ શરતો આપી છે અને કોઈપણ જાતની ફરી તપાસનું વચન આપવામાં આવે તે પહેલાં એ શરતોનું પાલન થવું જ જોઈએ. એ શરતોમાં કશો ફેરફાર થઈ શકે એમ નથી.”

ગવર્નરસાહેબ જાણતા હતા કે સત્યાગ્રહીઓ તો બધી ધમકીને ઘોળીને પી ગયા હતા, સરકારનો ક્રોધ કરવાનો ઇજારો છે એમ કહીને સરકારના કોપને પણ તેઓ હસી કાઢતા હતા, એટલે તેમણે આ ડરામણી ધારાસભાના સૂરતના સભ્યોને ઉદ્દેશીને પોકારી :

“આ વસ્તુ સાથે સંબંધ ધરાવતા હોય તે સભ્યોને હું કહું છું કે તેમણે આજથી ચૌદ દિવસની અંદર રેવન્યુ મેમ્બરને પોતાનો જવાબ આપી દેવો કે તેઓ પોતાના મતદારોના તરફથી ઉપર કહેલી શરતોનું પાલન કરવાને તૈયાર છે કે નહિ, કારણ તપાસ જાહેર થાય તે પહેલાં આ શરતોનું પાલન થવું જ જોઈશે.”

૨૩૭