પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 સવિનય ભંગના પ્રશ્ન ઉપર બોલતાં નામદાર ગવર્નરને પોતાના ભૂતકાળનું વિસ્મરણ થયું. પાંચ વરસ પહેલાં બોરસદના સત્યાગ્રહ વખતે તેમણે પોતાના હોમ મેમ્બરને એ કાયદાવિરુદ્ધની ચળવળ ઉખેડી નાંખવાનો હુકમ નહોતો આપ્યો, પણ ત્યાંની પરિસ્થિતિ તપાસવા જણાવ્યું હતું. અને એ હોમ મેમ્બરની તપાસને પરિણામે જ તેમણે કબૂલ કર્યું હતું : “વાર્ષિક રૂ. ૨,૪૦,૦૦૦ નો વિશેષ ધારો લોકો ઉપર નાંખવામાં આવ્યો હતો તે રદ કરવાનો કેસ સાબિત થાય છે.” પોતાના આ શોભાભર્યા કાર્યથી જે રાજનીતિકુશળતા તે દર્શાવી હતી તે તેઓ સાહેબ આ વખતે ભૂલી ગયા. પણ એ સંભવિત છે કે પાંચ વર્ષ પૂર્વે પોતે પરિસ્થિતિના સ્વામી હતા, જ્યારે વર્તમાન બારીક પ્રસંગે પોતાના વ્હાઈટહૉલના માલિકના બોલાવ્યા તેઓ બોલતા હોય, કારણ તે જ દિવસે આમની સભામાં ઉચ્ચારેલું લૉર્ડ વિન્ટર્ટનનું ભાષણ રોઈટરના તારસમાચારથી પ્રસિદ્ધ થયું તેમાં સર લેસ્લીના ભાષણને પ્રેરનારો કોણ હતો તે ઉઘાડું પડતું હતું :

“મુંબઈની ધારાસભામાં આજે બારડોલીના સંબંધમાં જે શરતો સર લેસ્લી વિલ્સને રજૂ કરી છે તેનું પાલન નહિ થાય તો કાયદો અમલમાં મૂકવા માટે અને ત્યાંની ચળવળને ચગદી નાંખવા માટે મુંબઈ સરકારને હિંદની સરકારનો પૂરેપૂરો ટેકો છે. કારણ એ શરતો ન સ્વીકારાય તો એ ચળવળનો એટલો જ અર્થ થાય કે તે સરકારને દબાવવા માટે ચલાવવામાં આવી છે, નહિ કે લોકોના વાજબી દુઃખની દાદ મેળવવા માટે.”

આ ધગધગતા અંગારમાં અહિંસક ચળવળની સફળતાથી અંગ્રેજ લોકોના દિલમાં કેટલો ક્રોધ વ્યાપ્યો હતો તેનું માપ દેખાતું હતું. શ્રી. વલ્લભભાઈને તો પોતાની જાતને અભિનંદન આપવા માટે પૂરતું કારણ હતું કે જે ૮૦,૦૦૦ માણસોનું નેતૃત્વ પોતે સ્વીકાર્યું હતું તેમના તરફથી એક પણ હિંસાનું કૃત્ય થયા વિના સરકારને પોતાનું ખરું સ્વરૂપ પ્રગટ કરી દેવાની તેમણે ફરજ પાડી. ધમકીથી ભરેલાં આ ભાષણોના જવાબમાં તેમના જેટલું જ અંગાર વર્ષતું આહ્‌વાન તેઓ બહાર પાડી શકતા હતા, અને સરકારને જે ફાવે તે કરી નાંખવા અને મકદૂર હોય તો આ

૨૩૮