પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’ ને ‘પ્રગટ થયેલા જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે’ એવું વિશેષણવાક્ય લગાડવામાં આવે છે તે સંબંધમાં લોકોને હું ચેતવું છું. એ વાક્ય બહુ ભંયકર છે, કારણ સૂરતની યાદીમાં ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’નું વચન નથી પણ તપાસની એક મશ્કરીનો જ ઉલ્લેખ છે. સૂરતની યાદીમાં તે બહુ જ મર્યાદિત તપાસનો વિચાર દર્શાવેલો છે. ન્યાયખાતાના અમલદારની મદથી રેવન્યુ અમલદાર સરવાળાબાદબાકીની અને હકીકતની ભૂલ તપાસે એ ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’થી એક જુદી જ વસ્તુ છે, એટલે હું આશા રાખું છું કે ગવર્નરે પોતાના ભાષણમાં આપેલી ધમકીઓથી અસ્વસ્થ થયા વિના લોકમત મેં દર્શાવેલા માત્ર એક જ મુદ્દા ઉપર એકાગ્ર રહેશે.”

આ લખાણમાંથી સત્યાગ્રહના અભ્યાસીને તો એ શીખવાનું મળે છે કે આકરી ઉશ્કેરણીને પ્રસંગે પણ સત્યાગ્રહીને પોતાના મગજનું સમતોલપણું ગુમાવવું ન પોસાય. તે પ્રયત્નપૂર્વક કડક અને ઉશ્કેરનારી ભાષાનો ત્યાગ કરે છે, અને પોતાના વિરોધીની ડરામણી ભાષાનું અનુકરણ નથી કરતો. ગવર્નરના ભાષણની સહેજ જ અગાઉ ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’માં સરકારને જે વિનવણી કરી હતી તે પણ સત્યાગ્રહના અભ્યાસી માટે એટલી જ મનનીય છે :

“ભરોસાદાર વાતો ઉપરથી માલમ પડે છે કે ખાનગીમાં જે શરતો સરકાર તરફથી આપવામાં આવી છે તેના કરતાં પણ સૂરત મુકામે ગવર્નરસાહેબે ઓછાની વાત કરી છે. શ્રી. વલ્લભભાઈ પટેલે તો પોતાની શરતો પહેલેથી નક્કી કરી રાખેલી છે, અને સરકારને અનેક રીતે તે જણાવવામાં પણ આવી છે. આબરૂભર્યા સમાધાનમાં સાધારણ રીતે હમેશાં જે માગવામાં આવે છે તેથી વિશેષ કશું તેમણે માગ્યું નથી. એટલું તો સહુ સ્વીકારે છે અને અણધાર્યાં સ્થળોએ પણ એ સ્વીકારવામાં આવ્યું છે કે બારડોલી અને વાલોડના ખેડૂતોએ પોતાના સિદ્ધાન્તની ખાતર બહુ વેઠ્યું છે. સરકાર જે તપાસ આપવા માગે છે તેનો અર્થ એવો થાય છે કે એક સામાન્ય રેવન્યુ અમલદાર વ્યક્તિગત દાખલા તપાસે અને તેમાં ભૂલ થઈ હોય તો સુધારે. પણ લોકોએ આવી તપાસ માટે સત્યાગ્રહ નથી માંડ્યો. વળી ખોટી રીતે ખાલસા થયેલી પોતાની કીમતી જમીન લોકો જતી કરે એવું પણ તેમને વિષે ન જ મનાય. વળી પોતાને માટે જેમને ખોટી રીતે દુઃખો વેઠવાં પડ્યાં છે તેમને તેઓ અંતરિયાળ છોડે એમાં પણ તેમની

૨૪૦