પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


બીજી બાજુએ પ્રજાનો મોટો વર્ગ ગભરાઈ ગયો હતો. તેમને થયું કે હવે તો કોણ જાણે કેવા ભયંકર હત્યાકાંડ આવી પડશે. એટલે અત્યારસુધી તેઓ લડતને ટેકો આપતા હતા અને લોકોની માગણીને વાજબી ગણતા હતા તોપણ ભાવી વાદળથી તેઓ ડરી ગયા. આ વર્ગનો મત આગ્રહપૂર્વક જાહેર કરનાર મુંબઈના એક પ્રસિદ્ધ વર્તમાનપત્રના તંત્રી હતા, જેમણે જણાવ્યું કે શ્રી. વલ્લભભાઈ પટેલ જણાવે છે કે બારડોલીમાં સવિનય ભંગની વાત જ નથી, છતાં સર લેસ્લી વિલ્સને જે ભય બતાવ્યો છે તે ભય સાચો છે એટલે શ્રી. વલ્લભભાઈ એ ગવર્નરે આપેલી શરત કબૂલ કરવી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાં બનેલા એક કિસ્સાની ખોટી સરખામણી કરીને તેમણે શ્રી. વલ્લભભાઈ ને સલાહ આપી કે ‘હાલતુરત માટે લડત મોકૂફ રાખવી, કારણ આજકાલ હડતાળોને લીધે અને મજૂરવર્ગમાં ચાલતી ઊથલપાથલને લીધે સરકાર બહુ અગવડમાં છે.’ આ તો તેમણે પોતાના દૈનિકમાં લખ્યું, પણ તેમના સાપ્તાહિકમાં લખેલા લેખથી જણાતું હતું કે તેમને સરકારની મૂંઝવણનું ઝાઝું દુ:ખ નહોતું, તેમને તો કદાચ ભવિષ્યમાં માર્શલ લૉ અને તેમાંથી નીપજતાં ભીષણ પરિણામો આવી પડે તેની ફિકર થતી હતી. એક દિવસ તેઓ શ્રી. વલ્લભભાઈની મર્યાદા અને વિવેકનાં વખાણ કરતા તો બીજા દિવસના લેખમાં તેઓ જણાવતા કે બહાદુરી અને આંધળિયાં એ બને એક વસ્તુ નથી, એટલે સત્યાગ્રહીઓ સરકારની શરત કબૂલ કરે તેમાં તેમને કશું ખોવાપણું છે જ નહિ, પણ મેળવવાપણું છે !

પણ જે ખેડૂતો ઉપર બધા આફતના ડુંગર તૂટી પડવાનો ડર રાખવામાં આવતો હતો તે ખેડૂતો તો નિરાંતે પોતાની ખેતીમાં લાગ્યા હતા, તેમને નહોતી સરકારની ધમકીની દરકાર કે ઉપર જણાવેલી ડાહી શિખામણની કદર. ‘યંગ ઇંડિયા’માં ગાંધીજીએ આકળા બનેલા ગરમ વર્ગને અને ડરી ગયેલા નરમ વર્ગને બંનેને ઉદ્દેશીને નીચે પ્રમાણે ચેતવણી આપી હતી: -

“સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરની સૂચના વિષે વલ્લભભાઈ શું કહેશે તેની મને ખબર નથી, પણ બારડોલીની સહાનુભૂતિની ખાતર મર્યાદિત

૨૪૪