પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 આ સફાઈ અમારી સમજ કે બુદ્ધિની બહાર હતી. શ્રી. મુનશી જે મસલતમાં ખૂબ રસ લઈ રહ્યા હતા અને મુંબઈથી સાબરમતી સુધી જઈ આવ્યા હતા તેમણે એક બીજો ખરડો ઘડ્યો, શ્રી. શિવદાસાનીએ પણ ઘડ્યો, પણ એકે ખરડો સર ચુનીલાલને પસંદ નહોતો. મોડી રાત સુધી શ્રી. વલ્લભભાઈ અને શ્રી. મુનશી સર ચુનીલાલ સાથે ચર્ચા કરતા બેઠા. ખરડાની વાત છોડીને બીજી શરતોની વાત ચાલી. જમીનો પાછી આપવાના સંબંધમાં, તલાટીઓને પાછા લેવા સંબંધમાં, સત્યાગ્રહીઓને છોડવા સંબંધમાં સંતોષકારક શરતો શ્રી વલ્લભભાઈ અને શ્રી. મુનશી કબૂલાવી શક્યા. મોડી રાતે શ્રી. મુનશી ઘેર ગયા. પણ પેલો ખરડો તો હજી ઊભો જ હતો.

શ્રી. વલ્લભભાઈની સાથે આ પ્રસંગે સ્વામી આનંદ હતા, હું હતો. રાત્રે સૂતા પહેલાં તો અમે સર ચુનીલાલને કહી દીધું કે આવું કંઈ લખી આપી શકાય નહિ. પણ કેમે ઊંઘ ન આવે. ખૂબ ચર્ચા કરી, પૂનાથી નીકળી આવતાં પહેલાં ગવર્નરસાહેબને લખવાના એકબે કાગળોના ખરડા કર્યા, ફાડ્યા. સવારે ચાર વાગ્યા પહેલાં હું ઊઠી નીકળ્યો, શ્રી. વલ્લભભાઈને પણ જગાડ્યા અને કહ્યું : ‘મને સર ચુનીલાલના પેલા ખરડામાં કશું જ લાગતું નથી. એમાં નથી આપણે બંધાતા, નથી સૂરતના સભ્યો બંધાતા. સરકારને નાકનો સવાલ થઈ પડ્યો છે અને સરકાર માને કે આથી એનું નાક રહે છે તો ભલે એનું નાક રહેતું.’

વલ્લભભાઈ કહે : ‘પણ એમાં જૂઠાણું છે તે ?’

મેં કહ્યું : ‘છેસ્તો , પણ તે સરકારના તરફથી છે.’

વલ્લભભાઈ : ‘આપણે સરકાર પાસે સત્યનો ત્યાગ કરાવીએ છીએ એમ નહિ ?’

મેં કહ્યું : ‘ના; સરકાર સત્યનો ત્યાગ કરે છે અને એમાં એને શ્રેય લાગે છે. એને લાગે તો લાગવા દો. આપણે એને કહીએ કે આમાં સત્યનો ત્યાગ થાય છે.’

૨૫૨