વલ્લભભાઈ: ‘ત્યારે તું સર ચુનીલાલને સાફ સાફ કહેશે કે એ લોકો સત્યનો ત્યાગ કરે છે ?’
મેં કહ્યું : ‘હા.’
વલ્લભભાઈ : ‘પણ જો તું જાણે ! મને આ લોકોની બાજીમાં ખબર પડતી નથી. એવાં કુંડાળાં શા સારુ કરતા હશે? બાપુ શું કહેશે ? સ્વામી, તું શું ધારે છે ?’
સરદારની આ ઘડીની તત્ત્વનિષ્ઠા, અમારા જેવા નાનક્ડા સાથીઓનો પણ અભિપ્રાય જાણવાની ઈચ્છા, અને ‘આપણે જે કરીએ છીએ તે વિષે બાપુ શું ધારશે’ એ વિષેની અપાર ચિંતા જોઈને સરદાર મારે માટે જેટલા પૂજ્ય હતા તેથી અધિક પૂજ્ય બન્યા. લડત દરમ્યાન ઘણીવાર તેઓ કહેતા, આ મુત્સદ્દીઓનાં જૂથમાં હું સીધો ભોળો ખેડૂત ન શોભું; એમની કળા મને ન આવડે,’ એ શબ્દો મને બહુ યાદ આવ્યા. મેં કહ્યું : ‘બાપુ પણ સરકારને આટલો લૂખો લહાવો લેવો હોય તો જરૂર લેવા દે. સરકારને નામ સાથે કામ છે, આપણને કામ સાથે કામ છે.’
સ્વામી કહે : ‘મારો પણ એ જ મત છે.’
છેવટે વલ્લભભાઈ કહે : ‘પણ સૂરતના સભ્યો આના ઉપર સહી કરશે?’
મેં કહ્યું: ‘કરશે; સર ચુનીલાલ મહેતા કહેતા હતા કે તેમને એ વિષે શંકા નથી.’
શ્રી. વલ્લભભાઈ કહે : ‘ભલે ત્યારે; એ સહી કરે તો કરવા દો. પણ તારે તો સર ચુનીલાલને સાફ કહી દેવાનું કે આમાં સરકારને હાથે સત્યનો ત્યાગ થાય છે.’
હું ગયો, સર ચુનીલાલની સાથે વાતો કરી, તેમને કાંઈ એ વાત નવી નહોતી. તેમણે કહ્યું, ‘તમે તમારી સ્થિતિની ઓખવટ કરો એ બરાબર છે. સરકારને પણ હું એ જણાવીશ.’ એટલામાં શ્રી. વલ્લભભાઈ આવ્યા. તેમણે વળી પાછી એની એ જ વાત ફોડ પાડીને કહી અને જણાવ્યું : ‘સરકારને આવા અર્થહીન પત્રથી સંતોષ થશે એમ મને લાગતું નથી, પછી તો તમે જાણો.’