પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧ મું
સત્યાગ્રહનો જયજયકાર
 


વલ્લભભાઈ: ‘ત્યારે તું સર ચુનીલાલને સાફ સાફ કહેશે કે એ લોકો સત્યનો ત્યાગ કરે છે ?’

મેં કહ્યું : ‘હા.’

વલ્લભભાઈ : ‘પણ જો તું જાણે ! મને આ લોકોની બાજીમાં ખબર પડતી નથી. એવાં કુંડાળાં શા સારુ કરતા હશે? બાપુ શું કહેશે ? સ્વામી, તું શું ધારે છે ?’

સરદારની આ ઘડીની તત્ત્વનિષ્ઠા, અમારા જેવા નાનક્ડા સાથીઓનો પણ અભિપ્રાય જાણવાની ઈચ્છા, અને ‘આપણે જે કરીએ છીએ તે વિષે બાપુ શું ધારશે’ એ વિષેની અપાર ચિંતા જોઈને સરદાર મારે માટે જેટલા પૂજ્ય હતા તેથી અધિક પૂજ્ય બન્યા. લડત દરમ્યાન ઘણીવાર તેઓ કહેતા, આ મુત્સદ્દીઓનાં જૂથમાં હું સીધો ભોળો ખેડૂત ન શોભું; એમની કળા મને ન આવડે,’ એ શબ્દો મને બહુ યાદ આવ્યા. મેં કહ્યું : ‘બાપુ પણ સરકારને આટલો લૂખો લહાવો લેવો હોય તો જરૂર લેવા દે. સરકારને નામ સાથે કામ છે, આપણને કામ સાથે કામ છે.’

સ્વામી કહે : ‘મારો પણ એ જ મત છે.’

છેવટે વલ્લભભાઈ કહે : ‘પણ સૂરતના સભ્યો આના ઉપર સહી કરશે?’

મેં કહ્યું: ‘કરશે; સર ચુનીલાલ મહેતા કહેતા હતા કે તેમને એ વિષે શંકા નથી.’

શ્રી. વલ્લભભાઈ કહે : ‘ભલે ત્યારે; એ સહી કરે તો કરવા દો. પણ તારે તો સર ચુનીલાલને સાફ કહી દેવાનું કે આમાં સરકારને હાથે સત્યનો ત્યાગ થાય છે.’

હું ગયો, સર ચુનીલાલની સાથે વાતો કરી, તેમને કાંઈ એ વાત નવી નહોતી. તેમણે કહ્યું, ‘તમે તમારી સ્થિતિની ઓખવટ કરો એ બરાબર છે. સરકારને પણ હું એ જણાવીશ.’ એટલામાં શ્રી. વલ્લભભાઈ આવ્યા. તેમણે વળી પાછી એની એ જ વાત ફોડ પાડીને કહી અને જણાવ્યું : ‘સરકારને આવા અર્થહીન પત્રથી સંતોષ થશે એમ મને લાગતું નથી, પછી તો તમે જાણો.’

૨૫૩