પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


મહેસૂલ ભરવાની તૈયારી સૌ કરી મૂકશો એવી આશા રાખું છું. ભરવાનો સમય મુકરર થયે જાણ કરીશ.”

કેદીઓ છૂટશે એવી આશા રાખીને એમણે આ વાક્ય લખ્યું હતું. પણ સરકારને હજી ખબર નહોતી કે શ્રી વલ્લભભાઈને સમાધાની પસંદ પડી કે નહિ એટલે કલેક્ટરને બારડોલી જઈને શ્રી. વલ્લભભાઈ પાસે એ જાણી લેવાના હુકમ મળ્યા. શ્રી. વલ્લભભાઈ એ જણાવ્યું કે મારો સંતોષ અને ધન્યવાદ તો હું મારી ગુજરાતી પત્રિકામાં દર્શાવી ચુક્યો છું. એટલે તુરત જ કલેક્ટરે સરકારને તાર કર્યો, અને બીજે જ દિવસે બધા કેદીઓને છોડી દેવામાં આવ્યા, તલાટીઓને પાછા લેવા વિષેની અરજી શ્રી. વલ્લભભાઈએ જ ઘડી હતી અને તે કલેક્ટરને ગમી, એટલે તુરત જ તેમણે તેમની નિમણુકના હુકમ કાઢ્યા. આ થયું એટલે લોકોનો ધર્મ હવે જૂનું મહેસૂલ ભરવાનું પોતાનું કર્તવ્ય કરવાનો હતો. એક મહિનાની અંદર તો લોકોએ બધું મહેસૂલ ભરી દીધું.

આમ ‘નિર્બલ કે બલ રામનો’ આધાર રાખી પોતાની ટેક ઉપર ઝૂઝનારા અને સંકટસહન જ મોટું શસ્ત્ર માની છ મહિના સુધી બળિયાની સાથે બાથ ભીડનારા બારડોલીના ભલાભોળા ખેડૂતોનો વિજય થયો. સત્ય અને અને અહિંસાનો આ વિજય કેટલાંક વર્ષ થયાં હિંદુસ્તાને જાણ્યો નહોતો. સરદારની ત્રણ સફળ લડતોમાંની ભારેમાં ભારે આ લડત હતી; સ્વરાજ્યને પંથે તેમણે નાંખેલા મજલ દાખવનારા સ્તભોમાંનો આ ત્રીજો સ્તંભ. નાગપુર સત્યાગ્રહમાં માત્ર એક હક સાબિત કરવાનો હતો તે સાબિત થયો. બોરસદની લડતના જેવી શીઘ્ર ફલદાયી અને સંપૂર્ણ સફળતાભરી તો એકે લડત થઈ નથી, પણ એ સ્થાનિક પ્રકારની હતી અને દોઢ જ માસમાં પૂરી થઈ એટલે દેશમાં ઘણાએ એને વિષે કશું જાણ્યું નહોતું. પણ બારડોલી સત્યાગ્રહ અપૂર્વ કહેવાય. કારણ તેણે દેશનું નહિ પણ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું, અને લોકોની માગણીના ન્યાયીપણા અને મર્યાદાને લીધે એણે આખા દેશની સહાનુભૂતિ મેળવી હતી,

૨૫૬