પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧ મું
સત્યાગ્રહનો જયજયકાર
 


આ સત્યાગ્રહનો વિજય ઇતિહાસમાં અનેક કારણોને લીધે અપૂર્વ હતો: મુખ્ય એ કારણે કે બારડોલી સત્યાગ્રહના પ્રથમ ક્ષેત્ર તરીકે ગાંધીજીએ પસંદ કરવામાં ભૂલ કરી નહોતી એ સિદ્ધ થયું; બીજું, હિંદુસ્તાનમાં રાંકમાં રાંક ગણાતા લોકોએ વિજય મેળવ્યો; ત્રીજું એ કે લડતને છુંદી નાંખવાને પ્રતિજ્ઞાબદ્ધ થયેલી સરકારને પ્રતિજ્ઞાના પંદર દિવસની અંદર એ લોકોએ નમાવી; ચોથું એ કે રેવન્યુ ખાતામાં મોટો માન્ધાતા પણ માથું ન મારી શકે એવા નોકરશાહીના સિદ્ધાન્ત છતાં સરકારને નમવું પડ્યું; પાંચમું એ કે ત્રણત્રણ ચારચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આ મોટો વિજય પ્રાપ્ત થયો; છઠ્ઠું એ કે સત્યાગ્રહના નાયકે પ્રતિષ્ઠાના ભૂતનો ત્યાગ કરી તત્ત્વ તરફ જ તાણ્યું હતું; અને છેવટે એ કે જે ગવર્નર કેટલોક સમય પોતાના હાથ નીચેના માણસોનું જ સંભળાવ્યું સાંભળતા હતા અને હિંદી પ્રધાનનું કહ્યું કરતા જણાતા હતા તેમણે સમાધાન કરવામાં પોતાથી થાય તેટલું કર્યું. પેલા અર્થહીન કાગળથી એમણે સંતોષ માન્યો તે પણ કદાચ શાંતિપ્રીત્યર્થે જ હોય. આ કારણે ગાંધીજી અને વલ્લભભાઈ એ પોતાના લેખોમાં અને ભાષામાં સત્યાગ્રહીઓને તેમજ ગવર્નરને ધન્યવાદ આપવાનું ઉચિત ધાર્યું હતું.

૨૫૭