પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રળિયામણી ઘડી

[ સત્યાગ્રહના વિજયના ઉત્સવપ્રસંગના મારા ‘નવજીવન’ના લેખ અને ગાંધીજી અને વલ્લભભાઈનાં ભાષણ જેમના તેમ અહીં ઉતાર્યા છે.મ. હ. દે. ]

‘જાનકીનાથ સહાય કરે જબ કોન બિગાડ કરે નર તેરો ?’

‘નિર્મલ કે બલ રામ’

પાવક દૃશ્યો

બારડોલી સત્યાગ્રહના વિજયની ઉજવણી બારડોલીના ગામડાંમાં જોઈ, બારડોલી તળમાં જોઈ, સૂરતમાં જોઈ, અને અમદાવાદમાં જોઈ. હજી ઘણે ઠેકાણે થશે. પણ ગામડાંની ઉજવણીમાં સત્યાગ્રહમાં ભાગ લેનારાઓ પણ શામેલ હતા એટલે એની નોંધ વિશેષ મહત્ત્વની છે.

એ ઉજવણીનાં દૃશ્યોના સહેજે કેટલાક વિભાગ પડી જાય છે, અને તે વિભાગ પ્રમાણે નોંધને ગોઠવવાની રજા લઉં છું. એ દૃશ્યમાં જેને પાવક દૃશ્યો કહી શકાય એ તો બારડોલીનાં ગામડાંમાં જોવાનાં હતાં. એ ભોળા ભલા ખેડૂતોને, અને જેનું દર્શન વિકારોને પણ શમાવી શકે એવું પુનિત છે એવી ખેડૂત સ્ત્રીઓને બારડોલી સત્યાગ્રહનો અંત કેવી રીતે આવ્યો, સમાધાની કેવી રીતે થઈ, કોણે કરી, સમાધાનીમાં શું શું થયું એ જાણવાની પરવા નહોતી. તેમને તો ગાંધીજી અને વલ્લભભાઈનાં દર્શન પૂરતાં હતાં, તેમને વિજયનાં ગીત ગાવાનાં નહોતાં, તેમને તો લડત પૂરી થઈ અને પોતાના હૃદયના દેવ તેમની આગળ, અમૃતવચન સંભળાવવાને આવીને ઊભા છે

૨૬૭