[ આ ભાગમાં ગાંધીજી અને વલ્લભભાઈનાં વિજયોત્સવનાં અનેક ભાષણોમાંથી મહત્ત્વનાં ભાષણો આપ્યાં છે. મ૦ હ૦ દે ]
૧૯૨૨ ના જે ઐતિહાસિક આંબા તળે સત્યાગ્રહની પ્રતિજ્ઞા લેવાઈ હતી તે આંબાની યાદ તાજી કરીને ગાંધીજીએ નીચે પ્રમાણે વિવેચન કર્યું હતું :
મારે તમને એ વાત યાદ આપવી હતી કે ૧૯૨૨ માં ઊલટતપાસ પછી જે પ્રતિજ્ઞા લીધી હતી તે આજે હજી કાયમ છે. તે પ્રતિજ્ઞા એક વખત જ નથી લેવાઈ. અનેક વખત પાછળથી પાકી કરવામાં આવી છે. વાઇસરૉય પરનો કાગળ પાછો ખેંચ્યો તે સાથે પ્રતિજ્ઞા કાંઈ પાછી ખેંચી નથી. લોકો સાથે મસલત પછી એ પ્રતિજ્ઞા માટે સંગઠન પણ તાલુકામાં કરવામાં આવ્યું. બારડોલીની અંદર ચાલતા રચનાત્મક કામની એ ઉત્પતિ,. એ કામ કંઈ અહીં બધું વગર અડચણે, સરળપણે થયું છે એમ નથી. અહીં સ્વયંસેવકોને કેવી વિપત્તિઓમાંથી પસાર થવું પડયું, ભાઈ નરહરિને ઉપવાસ કરવા પડ્યા, એ તો એક એતિહાસિક બનાવ છે. પણ એમાં આજે હું ઊતરવા ઇચ્છતો નથી. આ પ્રતિજ્ઞાનું પાલન થયું નથી ત્યાં સુધી કોઈથી નિશ્ચિંત બેસી શકાય નહિ.
તેથી જો કે ઉત્સવ ઊજવવા તમે ભેગા થયા છો, તોપણ ફરજનું ભાન ભૂલો નહિ એટલા માટે ઉત્સવને આત્મનિરીક્ષણ સારૂ વાપરી લો. સ્વયંસેવક તો પોતાના ઉત્સવોને તેમ જ વાપરે. આ વિજય એ તો સમુદ્રમાંનું બિંદુ માત્ર છે. જ્યાં આવી સરદારી હોય ને નિયમપાલન