પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


જે વેચાણો થયાં તેની ૧૯૨૫ માં સેટલમેંટ અમલદાર સાચી તપાસણી ભાગ્યે જ કરી શક્યા હશે.” અને છતાં એ જ અમલદારે તૈયાર કરેલી (ગણોતના આંકડાવાળી) પુરવણી એચને આંખ મીચીને કમિશનરે સ્વીકારી, — કારણ પોતે વધારો શી રીતે સૂચવે ? પોતાને પણ કાંઈ પાયો મળવો જોઈએ ના !

આમ ખોટા આંકડાનો આશ્રય લેવા ઉપરાંત મિ. ઍંડર્સન એક બાબતમાં તો ભીંત જ ભૂલ્યા. પોતાની ૨૯ ટકા વધારાની ભલામણનું મંડાણ માંડતાં તેમણે પોતાના જેવા જવાબદાર અમલદારને ન છાજે એવી ગણતરીની ભૂલ કરી :

“શ્રી. જયકરે ૪૨,૯૨૩ એકરનાં ગણોતો લીધાં છે. કુલ જમીન ૧,૨૬,૯૮૨ એકર છે, એટલે આખા તાલુકા અને મહાલની ત્રીજા ભાગ જેટલી જમીન ગણોતે અપાય છે : એમાં વળી આધભાગે અને બીજી રીતે અપાતી જમીન ગણીએ તો આ ગણોતે અપાયેલી જમીન અર્ધા ભાગની થઈ ને ઊભી રહે.”

મિ. ઍંડર્સન ભૂલી ગયા કે શ્રી. જયકરે સાત વર્ષોનાં ગણોતો લીધાં હતાં, અને આ ગણોતો જેટલાં વર્ષોનાં હોય તેટલાં વર્ષોએ ગુણીને પત્રક કર્યાં છે. એટલે ૪૨,૯૨૩ એકર જમીનનાં ગણોતો તે તો ૬,૦૦૦ થી વધારે એકર જમીનનાં ગણોતો નથી. આમ પાંચદશ ટકા ગણોતની જમીનને બદલે મિ. ઍંડર્સને માની લીધું કે અર્ધોઅર્ધ જમીન ગણોતે અપાય છે !

આમ સરકારની આગળ બે ઢંગધડા વિનાના રિપોર્ટો જઈને પડ્યા. બેમાંથી કયો પસંદ કરે ? એક તરફ વાવ, બીજી તરફ કૂવો ! સરકારે કૂવો અને વાવ બંને પસંદ કર્યા; બંનેમાંથી કંઈક લીધું, ગણોતનું ધોરણ પણ સ્વીકાર્યું, ચડેલા ભાવનું ધોરણ પણ સ્વીકાર્યું. અને ૨૨ ટકાની ભલામણ કરી.